દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાં સામેલ વોડાફોન-આઈડિયાની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ જ નથી લેતું. વોડાફોનના સીઈઓ નિક રીડે પણ સ્પષ્ટતા કરી હતી કે કંપનીની હાલતમાં સુધાર થયો નથી અને જો સરકારે મદદ ના કરી તો વોડાફોન બંધ થઈ શકે છે. જ્યારે આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ પણ સ્પષ્ટતા કરી છે કે, કંપનીને બચાવવા સરકારે જ આગળ આવવું પડશે અને હવે હવે AGR ચૂકવવા માટે કંપનીએ સરકાર પાસેથી મદદ માંગી છે.
વોડાફોન-આઈડિયાની મુશ્કેલીઓમાં થયો વધારો
કંપનીની હાલતમાં સુધાર માટે સરકારની મદદ જરૂરી
AGR ચૂકવવા માટે કંપનીએ સરકારને કરી અપીલ
સરકારને લખ્યો પત્ર
વોડાફોન આઈડિયાએ સરકારને પત્ર લખ્યો છે. જેમાં એજીઆરની બાકીની રકમ ચૂકવવાની મદદ માંગી છે. કંપનીએ આ પત્ર નીતિ આયોગ અને નાણાં પ્રધાનને પણ લખ્યો છે. જેમાં ચૂકવણી માટે મદદ માંગવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, વોડાફોન-આઈડિયા પર એજીઆરના 53,000 કરોડ રૂપિયા બાકી છે.
8000 કરોડ રૂપિયા પેનલ્ટી
કંપનીના કુલ એજીઆરમાં જીએસટી રિફંડના 8000 કરોડ રૂપિયા, પેનલ્ટીની રકમ, વ્યાજ અને પેનલ્ટીનો વ્યાજ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટની ઠપકા પછી સરકારે ટેલિકોમ કંપનીઓ પર એજીઆરની ચૂકવણીને લઈને કડક વલણ અપનાવ્યું છે. વોડાફોન-આઈડિયા સિવાય સુપ્રીમ કોર્ટે એરટેલ અને અન્ય ટેલિકોમ કંપનીઓને પણ એજીઆરની બાકીની રકમની ચૂકવણી કરવાનું કહ્યું છે.
જિયોએ વધારી મુશ્કેલીઓ
હકીકતમાં ટેલિકોમ સેક્ટરમાં જ્યારથી મુકેશ અંબાણીની કંપની જિયોએ પદાર્પણ કર્યું છે અને ગ્રાહકોને સસ્તા ટેરિફ અને ઈન્ટરનેટ પ્લાન ઉપલબ્ધ કરાવ્યા છે ત્યારથી અન્ય કંપનીઓને પણ પોતાના ટેરિફમાં ઘટાડો કરવો પડ્યો હતો. જેના કારણે કંપનીઓને નુકસાન ભોગવવું પડ્યું હતું. કંપનીઓની આ હાલતનું પરિણામ ત્રિમાસિક રિઝલ્ટ પર પણ જોવા મળી રહ્યું છે. હવે જો સરકારે વોડાફોનની મદદ ન કરી તો કંપનીએ કોઈ મોટો નિર્ણય લેવો પડશે. સરકારની પોલિસી છે કે, ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ઓછામાં ઓછી 3 ખાનગી કંપનીઓ હોવી જરૂરી છે. આ જ કારણથી સરકાર વોડાફોનને બચાવવા માટે વિકલ્પ શોધી રહી છે.