રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યસ બેંક પર નિયંત્રણ લગાવ્યા છે. યસ બેંકની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને આ નિયંત્રણ લગાવાયા છે જે અંતર્ગત હવે યસ બેંકના ધારકો એક મહિનામાં માત્ર 50 હજાર સુધીના રૂપિયા ઉપાડી શકશે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા વડોદરાની સ્માર્ટ સીટી પ્રોજેક્ટના નાણાં યસ બેન્કમાં ડૂબતા બચી ગયા છે.
યસ બેંક પર આફતના વાદળ
વડોદરા મનપાના પ્રોજેક્ટના નાણાં બચ્યા
કોર્પોરેશને 4 દિવસ પહેલા જ નાણાં ટ્રાન્સફર કર્યા
ઉલ્લેખનીય છે કે,હમણાં કોર્પોરેશને 4 દિવસ પહેલા જ યસ બેન્કમાંથી નાણાં ટ્રાન્સફર કર્યા હતાં. સ્માર્ટ સીટી પ્રોજેક્ટના 267 કરોડ BOBમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં. આ અંગે મિટિંગમાં યસ બેન્કમાંથી નાણાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્માર્ટ સીટી પ્રોજેકટ ડાયરેક્ટરે અને સ્થાઈ સમિતિના અધ્યક્ષ સતીષ પટેલે આ મામલે હાંશકારો અનુભવ્યો હતો.
રાજકોટ મનપાના 164 કરોડ યસ બેંકમાં ફસાયા
દેશની યસ બેંક સંકટમાં આવી ગઇ છે. રિઝર્વ બેંક દ્વારા ગુરુવારે સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેંક પર કલમ 36 હેઠળ પ્રતિબંધ મૂકીને નાણા ઉપાડની મર્યાદા 50 હજાર કરી નાખી છે. રિઝર્વ બેંક દ્વારા આ પ્રકારની જાહેરાત કરાતા જ બેંકમાં ખાતા ધરાવતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
RMC દ્વિધામાં મુકાઇ
ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ યસ બેંકમાં નાણાં ફસાયા છે. રાજકોટ મનપાના યસ બેંકમાં 164 કરોડ રૂપિયા સલવાયા છે. જેને લઇ નાણાં ઉપાડવા કે નહીં તેને લઇ RMC દ્વિધામાં મુકાઇ છે.
પૈસા ઉપાડવા માટે બેંક બહાર લોકોની લાઇન
યસ બેંકમાં ખાતામાંથી રૂપિયા કાઢવા માટે લિમિટ રાખવામાં આવતા અમદાવાદમાં આવેલી બેંકની બહાર ખાતાધારકોની લાઈન લાગી છે. ગત મોડી રાતથી ખાતાધારકોની ATMની બહાર લાઈન લાગી છે. ત્યારે હવે બેંકના ATM પણ ખાલી ખમ થયા છે. આ દરમિયાન ખાતેદારોએ પ્રતિક્રિયા આપી છે કે, દેશવાસીઓને ફરી એક વખત બેંકની બહાર લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. ફરી એક વખત નોટબંધી કરવામાં આવી હોય તેવુ લાગી રહ્યું છે.
યસ બેંકની વહારે આવી SBI
યસ બેંકના સંકટ પર સ્ટેટ બેંક ઓફ ઇંડિયાએ જણાવ્યું છે કે કાયદાકીય જોગવાઇ મુજબ SBIએ યસ બેંકના 49 ટકા શેર ખરીદી શકે છે. મુંબઇ ખાતે પત્રકાર પરિષદમાં SBI ના ચેરમેન રજનીશકુમારે કહ્યું કે SBI યસ બેંકમાં 2450 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે.