જળકુંભીને દૂર કરવા માટે વડોદરા કોર્પોરેશને અપનાવી આયુર્વેદિક પદ્ધતિ, જો સફળ થશે તો અન્ય તળાવી સફાઇ પણ આ રીતે જ કરાશે
વડોદરા લાલબાગ તળાવ થશે જળકુંભી મુક્ત
આયુર્વેદિક અને જૈવિક પદ્ધિતનો કરાયો ઉપયોગ
વડોદરા કોર્પોરેશનનો નવતર અભિગમ
આયુર્વેદ અને જૈવિક પદ્ધતિનો ઉપયોગ વધી રહ્યો છે પછી તે ખેતી હોય કે સારવાર કરવાની વાત હોય. લોકો હવે આયુર્વેદ તરફ વળ્યા છે. ત્યારે વડોદરના લાલબાગ તળાવમાં વર્ષોથી જામેલા થર પણ જૈવિક પદ્ધતિથી જ સાફ કરવામાં આવશે. જી હા, જાણીને નવાઇ લાગે પરંતુ હા આ વાત સાચી છે. લાલબાગ તળાવની આયુર્વેદિક અને જૈવિક પદ્ધતિથી સફાઇ કરાશે . જાણીએ કેવી રીતે..
કેવી રીતે સાફ થશે લાલબાગ તળાવ ?
વડોદરામાં તળાવની સફાઇને લઇને કોર્પોરેશનનો નવતર અભિગમ અપનાવ્યો છે. વડોદરામાં NGOની સહાયતાથી આયુર્વેદિક અને જૈવિક પદ્ધતિથી તળાવની સફાઈની શરૂઆત કરવામાં આવી છે. ગૌમૂત્ર અને ગૌછાણમાંથી બનાવેલા બેક્ટેરિયા તળાવમાં નાખવામાં આવ્યા. એરોબેક બેક્ટેરિયા તળાવની ગંદકીને ખોરાક રૂપે સાફ કરશે અને જળકુંભીને પણ દૂર કરશે. 10 હજાર લિટર પાણીમાં 1 લિટર બેક્ટેરિયાયુક્ત દ્રાવણ નાખવામાં આવશે. બેક્ટેરિયા એક્ટિવ થતાં પાણીમાં કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ વધશે.
10 હજાર લિટર પાણીના ટેન્કરમાં 1 લિટર દ્રાવણ નખાય છે
10 લિટરના પાણીમાં 1 લિટર આયુર્વેદિક દ્રાવણ નાંખવામાં આવે છે.તેની અસર 24 કલાકમાં દેખાવની શરૂ થશે. આ શુદ્ધિકરણ માટે 7 રૂપિયાથી લઇને 15 રૂપિયા સુધીનો સ્કેવર મીટરનો ખર્ચ આવે છે. આ તળાવને શુદ્ધિ કરવા એક મહિના સુધી પાણી છોડવામાં આવશે. 1 લિટર આયુર્વેદિક દ્રાવણને 10 હજાર લિટર પાણીના ટેન્કરમાં મિક્ષ કરવામાં આવે છે અને તેને તળાવમાં છોડવામાં આવે છે. આમ દરરોજ એક ટેન્કર પાણી આ તળાવમાં છોડવામાં આવશે.
આયુર્વેદિક ટ્રીટમેન્ટથી થનાર ફાયદાના દાવા
તળાવમાં સડતા બાયોમાસની દુર્ગંધ ઉપર સંપૂર્ણ નિયંત્રણ
તળાવના તળિયે જમા થયેલા કાદવ (સ્લજ)નો ઉપયોગ કરીને તળાવની જળ સંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો
તળાવના તળિયે જમા થયેલ કાદવ (સ્લજ)માં આલ્ગી બ્લુમ્સ અને તળાવોમાં ઉગી નિકળતા અન્ય ખારપતવારને મળતા પોષણ તત્વોને નષ્ટ કરીને તળાવોમાં ઉગી નિકળતા વેલા (જળકુંભી) અને અન્ય ખારપતવારનો સંપૂર્ણ નાશ કરી દે છે
માનવ જીવનના દરેક ક્ષેત્રે ઉપયોગ માટે ઉપયુક્ત ગુણવાત્તાવાળા પાણીનું શુદ્ઘિકરણ
ભૂગર્ભ જળસ્તર, કુદરતી ઇકો સિસ્ટમને સક્ષમ બનાવી માનવી જીવનને ટેકો આપવા માટે તળાવના પાણીને સક્ષમ બનાવે છે.
મહત્વનું છે કે જળકુંભીની સમસ્યા દૂર કરવા માટે તંત્ર દ્વારા લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ થોડા સમય પછી જળકુંભી ફરીથી ઉગી આવે છે. ત્યારે જૈવિક પદ્ધતિથી સૌ પ્રથમવાર જળકુંભીને દૂર કરવા માટેનો આ અભિગમ હાથ ધરાયો છે. છાણ, ગૌ મૂત્રના ઉપયોગથી જળકુંભીને દૂર કરવામાં આવશે. હાલ તો આ કામ એક એનજીઓને સોંપવામાં આવ્યું છે. જો આ પદ્ધતિ સફળ રહેશે તો અન્ય જગ્યાએ પણ તેનો ઉપયોગ શરુ કરવામાં આવશે.