સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું 61 વર્ષની વયે સોમવારે વહેલી સવારે નિધન થયું છે. સમાજસેવા જેના લોહીમાં હતી અને સામાજિક સમરસતાં જેનો જીવન મંત્ર હતો એવા વિઠ્ઠલભાઈએ પોતાનાં દિકરા કલ્પેશના નિધન બાદ તેમની વહુ મનીષાને ફરી પરણાવી કન્યાદાનમાં 100 કરોડ રૂપિયા આપી સમાજમાં અનોખું ઉદાહરણ બેસાડ્યું હતું.
વિઠ્ઠલભાઈ જ્યારે 13મી લોકસભાના સાંસદ હતા ત્યારે તેમના નાના દિકરા કલ્પેશનું આકસ્મિક રીતે અવસાન થયું હતું. કલ્પેશના અવસાન બાદ તેમની પત્ની મનીષા એકલવાઈ થઈ ગઈ હતી. વિઠ્ઠલભાઈએ વહુ મનીષાને દિકરી બનાવી તેમની કંપનીમાં કામ કરતાં જસદણના હાર્દિક સાથે મનીષાના લગ્ન નક્કી કર્યા અને 100 કરોડનું કન્યાદાન કરી સમાજમાં એક દાખલો બેસાડ્યો હતો.
વિઠ્ઠલભાઈ દિકરા કલ્પેશના મૃત્યુ પછી વહુ મનીષાના વાજતે ગાજતે ફરી લગ્ન યોજી કન્યાદાન કર્યું. મનીષાને પરણનાર હાર્દિક વિઠ્ઠલભાઈના મોટા દિકરા લલિતની ઓફિસનો કર્મચારી હતો. વહુના દિકરીની જેમ લગ્ન કર્યા પછી વિઠ્ઠલભાઈની સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા વધી હતી. અને પાટીદાર સમાજમાં એક નવો ચીલો ચાતરીને જતાં રહ્યાં.
મનીષા આજે ય રાદડિયા પરિવાર સાથે ધંધાકીય રીતે જોડાયેલી છે. મનીષા આજે પણ વિઠ્ઠલભાઈને તેના પિતા કરતાં વધુ સન્માન કરે છે. કલ્પેશને મનીષાના બંને સંતાનો રાહી અને જિયા આજે મનીષા અને હાર્દિક સાથે જ રહે છે. આ પ્રસંગ માટે વિઠ્ઠલભાઈની પત્ની ચેતનાબેનનો પણ ખૂબ મોટો હાથ છે.