ઉજ્જૈન નગરી ભારતની સૌથી પ્રાચીન નગરી ગણાય છે. ઉજ્જૈન પરથી કર્કવૃત રેખા પસાર થાય છે. તેથી જ એક જમાનામાં ઉજ્જૈન જ્યોતિષ વિજ્ઞાન અને જ્યાતિવિદ્યાનું ધામ ગણાતું. ભારતમાં જે પાંચ મુખ્ય વેધશાળાઓ છે તે પૈકીની સૌથી પ્રાચીન વેધશાળા અહીં છે.
મધ્યપ્રદેશના પવિત્ર ક્ષિપ્રા નદીને કિનારે ઐતિહાસિક શહેર ઉજજૈનમાં આવેલું છે. જેને ભારતની અતિ પવિત્ર સાત નગરીઓ પૈકી એક ગણવામાં આવે છે. ઉજજૈન ઈન્દોરથી ૮૦ કિ.મી. અને સુરતથી ૪૮૬ કિ.મી.ના અંતરે છે.
હજારો વર્ષ પહેલાં આ સ્થળે વેદપ્રિય નામનો બ્રાહ્મણ પોતાના ચાર પુત્રો સાથે રહેતો હતો. જેઓ પોતાની શિવભકિત માટે પ્રખ્યાત હતા. બાજુના જંગલમાં રહેતા દૂષણ નામના રાક્ષસે પોતાની તાંત્રિક વિદ્યાથી બ્રહ્માજીની ઉપાસના કરી વરદાન મેળવીને હાહાકાર મચાવી દીધો. એના ત્રાસમાંથી મુકિત મેળવવા આ બ્રાહ્મણોએ મહાયજ્ઞ કરી ભગવાન શંકરને અહીં પધારવા આહવાન આપ્યું જે સાંભળીને ભગવાન શંકર અહીં પધાર્યા અને પોતાના ત્રીજા લોચનથી દૂષણ અને તેની અસુર શકિતને ભસ્મીભૂત કરીને ભયંકર હુંકાર સાથે મહાકાલ સ્વરૂપ ધારણ કરી એ ભસ્મ પોતાના શરીરે લગાવી તે પછી ભગવાન શંકર અહીં જયોર્તિલિંગરૂપે બિરાજમાન થયા.
મહાકાલેશ્વરના મંદિરે ફરતે ત્રીસેક ફૂટ ઊંચો કિલ્લો છે. બારેય જયોર્તિલિંગ મંદિરોમાં આ એક મંદિર જમીનની સપાટીથી વીસ ફૂટ નીચે છે. અને મંદિરના પટાંગણમાં દાખલ થવા માટે ચાળીસેક પગથિયાં ઊતરવાં પડે છે. આ મંદિરને પાંચ માળ છે. અને તેની પાછળ કોટિતીર્થ નામનો વિશાળ કુંડ છે જેમાં સ્નાન કરીને જ યાત્રિકો મહાકાલેશ્વરના દર્શને જાય છે.
મહાકાલેશ્વર મહાદેવનું જયોર્તિલિંગ ચાંદીના વિશાળ થાળામાં બિરાજે છે. જે દોઢેક ફૂટ પહોળું અને ત્રણેક ફૂટ ઊંચું છે. વિશાળતાની દૃષ્ટિએ આ જયોર્તિલિંગ સોમનાથ પછી બીજા નંબરે આવે છે. ગર્ભગૃહનું દ્વાર દક્ષિણાભિમુખ હોવાથી તંત્ર વિદ્યામાં ઘણું મહત્વ ધરાવે છે. દરરોજ સવારે ચાર વાગે ગ્વાલિયરના રાજપરિવાર તરફથી ગંગાજળની સૌથી પહેલો અભિષેક કરવામાં આવે ત્યારબાદ સ્મશાનમાંથી લાવવામાં આવેલ માનવ ભસ્મ જયોર્તિલિંગ પર લગાવવામાં આવે છે. આ જયોર્તિલિંગ પર શણગાર કરતી વખતે કે સ્નાન કરાવતી વખતે સ્ત્રીઓને દર્શન કરવાની મનાઈ છે. આ મંદિરની રચના એવી વિશિષ્ટ કરવામાં આવી છે કે ઊગતા સૂર્યનું પ્રથમ કિરણ મહાકાલેશ્વર જયોર્તિલિંગ પર ચડે. આ માટે પૂર્વ તરફની દીવાલના ઉપરના ભાગે એક ડોકા-બારી રાખવામાં આવેલ છે, અહીં ગર્ભગૃહમાં ચોવીસે કલાક એક ઘીનો અને બીજો તેલનો એમ બે અખંડ દીપ પ્રગટેલા રહે છે.
ઉજજૈન નગરી ભારતની સૌથી પ્રાચીન નગરી ગણાય છે. ઉજજૈન પરથી કર્કવૃત્ત રેખા પસાર થાય છે. અને તેથી જ એક જમાનામાં ઉજજૈન જયોતિષ વિજ્ઞાન અને જયોતિર્વિદ્યાનું ધામ ગણાતું. ભારતમાં જે પાંચ મુખ્ય વેધશાળાઓ છે તે પૈકીની સૌથી પ્રાચીન વેધશાળા અહીં છે. અન્ય ચાર વેધશાળાઓ વારાણસી, દિલ્હી, અલ્હાબાદ અને જયપુર ખાતે છે.
ઉજજૈન અને તેની આસપાસ આવેલી અન્ય તીર્થસ્થાનોમાં મુખ્યત્વે હરસિદ્ધિદેવીનું મંદિર છે. આ સુંદર મંદિર ફરતે કિલ્લો પણ છે. પવિત્ર ક્ષિપ્રા નદીને કિનારે દર બાર વર્ષે કુંભમેળો ભરાય છે. ઉજજૈનથી પાંચેક કિ.મી. દૂર ક્ષિપ્રાને કિનારે ભૈરવગઢ નામનું નાનું ગામડું આવેલ છે. અહીં એક ટેકરી પર કાળભૈરવનું મંદિર છે. ઉજજૈનમાં બીજા ઘણાં જોવાલાયક નાનાં મોટાં મંદિરો છે.