ગાંધીનગરથી લગભગ 35 કિમી અંતરે આવેલા મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલુ છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોના 24 તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્વ ધરાવે છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલુ છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલુ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે અહીંના દેરાસરમાં ઘંટાકર્ણજી તેમજ પદ્માવતી માતાના મંદિરોનો મહિમા છે. જૈન સમાજના હજારો યાત્રાળુઓને તહેવારો અને રજાઓને દિવસે અહીંયા આવે છે. અહીંયા એક માન્યતા પણ પ્રચલિત છે કે અહીંયા મળતો સુખડીનો પ્રસાદ આપણે તે મંદિરના પરિસરની બહાર લઇ જઇ શકાતો નથી.
આગલોડ નામનું આ ગામ મહુડીથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલું છે. આગલોડ સ્થિત આ મણીભદ્ર વીરનું જૈન મંદિર પ્રાચીન મહત્ત્વ ધરાવે છે. અહીં પણ મહુડીને જેમ સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આગલોડમાં આવેલા આ મણીભદ્ર વીરના જૈન મંદિર વિશેષતા એ છે કે તે ખૂબ જ શાંત જગ્યાએ આવેલુ છે અને કોતરો તેમજ ખેતરોની વચ્ચે આવેલા આગલોડ ગામમાં પ્રવેશ કરતા પહેલા જ સ્થિત છે. આગલોડના આ જૈન મંદિરમાં આવેલી ધર્મશાળામાં રહેવાની અને ભોજનાલયમાં જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા છે.
આ સિવાય આગલોડ ગામમાં પણ અન્ય પ્રાચિન જૈન મંદિરો છે અને પાસે જ સાબરમતી નદીનો પટ પણ આવેલો છે. આગલોડમાં આ મણીભદ્ર વીરના જૈન મંદિર આવ્યા પછી મનને શાંતિ મળે છે. અને આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે. આ સિવાય તમે અહીંથી પાસે આવેલા સપ્તેશ્વર નામના સ્થળની પણ મુલાકાત લઈ શકો છો કે જ્યાં નદી કિનારે પ્રાચીન શિવ ભગવાનનું મંદિર આવેલું છે. સપ્તેશ્વર મહાદેવ ત્રેતાયુગનું ઐતિહાસિક તેમ જ ભારતીય ખગોળ વિદ્યા સાથએ સંકળાયેલું એક ધાર્મિક સ્થળ છે.
ગાંધીનગરથી મહુડી જતા રસ્તામાં આવતા લોદરા ગામમાં હનુમાનજીનું આ પવિત્ર મંદિર આવેલુ છે. આ મંદિરમાં આર્યુવેદિક કોલેજ પણ આવેલી છે આ એક ખૂબજ શાંત જગ્યા છે. લોદરા નામનું આ ગામ મહુડીથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલું છે લોદરાથી મહુડી જતા વાહન પર માત્ર 20 મિનિટનો સમય લાગે છે. લોદરા સ્થિત ગામના ખમણ ખૂબ જ પ્રખ્યાત છે. લોદરામાં આવેલા હનુમાનજીના મંદિરનું પ્રાચીન મહત્ત્વ રહેલું છે.