શ્રાવણ માસમાં ચારે તરફ જ્યાં દેવાધિદેવ શિવજીની ઉપાસના થતી હોય છે. ભક્તો શ્રદ્ધા પ્રમાણે શિવ મંદિરે જઈને પૂજા કરે છે. આજે અહીં એવા શિવમંદિરની વાત કરીશું જે અન્ય મંદિરોથી અલગ છે. સાથે જ મંદિરની બહાર નંદી પણ છે. આ મંદિરે દર્શન કર્યા બાદ તમે અહીં આસપાસના પ્રાકૃતિક સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો.
મૂળ કર્ણાટકના કોલાર જિલ્લામાં દુનિયાનું સૌથી ઊંચું શિવલિંગ છે. આ રમણીય સ્થળે આવેલા મંદિરનું નામ કોટિલિંગેશ્વર મહાદેવ છે. તે કર્ણાટકના કોલાર જિલ્લાના કામાસાંદરામાં આવેલું છે. આ શિવલિંગની ઊંચાઈ ૧૦૮ ફૂટ છે. શિવમંદિરની આજુબાજુ બહારની તરફ એક નહીં પણ કરોડો શિવલિંગ બિરાજમાન છે, જે શિવનું માહાત્મ્ય દર્શાવે છે. અહીં કણકણમાં શિવ સમાયેલા છે ને એટલે જ અહીં રોજે અઢળક ભક્તો પ્રકૃતિના ખોળે વસેલા આ રમણીય શિવમંદિરે દર્શન કરવા આવે છે.
આ મંદિરે જોવા મળતા એક કરોડ જેટલાં શિવલિંગ આપણાં જેવા શિવભક્તો દ્વારા જ બનાવાય છે. કોટિલિંગેશ્વર મંદિરમાં એવી માન્યતા છે કે અહીં દર્શન કરવા આવતાં દર્શનાથી પોતાની ઇચ્છાપૂર્તિ માટે અહીં 1 ફૂટથી લઇ ૩ ફૂટ સુધીના શિવલિંગની સ્થાપના કરાવડાવે છે. આ સ્થાપના કર્યાં બાદ અહીં દર્શને આવતા ભક્ત મનમાં એક વિશ્વાસ લઇને ઘરે જાય છે કે તેની મનોકામના જરૂરથી પૂર્ણ થશે. આમ, અહીં આવતાં સેંકડો ભક્તો દ્વારા થતી સ્થાપનાના કારણે જ શિવજીના લિંગની સંખ્યા એક કરોડ જેટલી થઇ ગઇ છે. અહીં બનાવેલા વિશાળ શિવલિંગની સામે ૩૫ ફૂટ ઊંચા નંદી મહારાજની સ્થાપના પણ કરવામાં આવી છે.
મંદિર પરિસરમાં કોટિલિંગેશ્વર મંદિર સિવાય બીજાં પણ અગિયાર મંદિર આવેલાં છે. જેમાં બ્રહ્માજી, વિષ્ણુ, અન્નપૂર્ણેશ્વરી દેવી, વેંકટરમણિ સ્વામી, પાંડુરંગ સ્વામી, પંચમુખ ગણપતિ, રામ લક્ષ્મણ જાનકીનાં મંદિર મુખ્ય છે. કોટિલિંગેશ્વર મંદિર માટે એવી માન્યતા પણ છે કે મંદિરના પ્રાંગણમાં આવેલાં બે મોટાં વૃક્ષના થડની ફરતે જો પીળો દોરો વીંટવામાં આવે તો તે દોરો વીંટતી વખતે મનમાં જે ઇચ્છા હોય તે બોલવાથી તે ઇચ્છા ચોક્કસ પૂરી થાય છે.
મહાશિવરાત્રીના દિવસે આ મંદિરની શોભા અને ભીડ અકલ્પનીય હોય છે. શિવરાત્રિના દિવસે મંદિરને વિશેષ રૂપે સજાવવામાં આવે છે. અહીં તે દિવસે મેળા જેવું વાતાવરણ ઊભું થતું હોય છે અને તે દિવસે અહીં દર્શન કરવા આવતાં ભક્તોની સંખ્યા આશરે બે લાખથી પણ વધી જતી હોય છે. ખાસ આ દિવસે ગામેગામથી પોતાની મનોકામનાની પૂર્તિ માટે લોકો પૂજા કરવા આવે છે અને ભગવાન શિવનું ધ્યાન ધરે છે. શ્રાવણ માસમાં પણ આ મંદિરમાં માનવમહેરામણ ઉમટી પડતો જોવા મળે છે. લોકો અહીં આ સમયે દર્શન કરવા તેમજ શિવ આરાધના માટે પહોંચી જાય છે.
કઈ રીતે જશો
કોટિલિંગેશ્વર જવા માટે તમારે સૌથી પહેલાં બેંગલુરુ પહોંચવું પડશે. બેંગલુરુ તમે ટ્રેન અથવા તો પ્લેન બંને દ્વારા જઇ શકો છો. બેંગલુરુથી કોટિલિંગેશ્વર ટ્રેન, બસ અને પ્રાઇવેટ ટેક્સી આ ત્રણેય વાહન જાય છે.