વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના ભૂતસર ગામે વાંકી નદીના તટે અને સ્મશાનના એકાંતમાં આવેલું પેશ્વાઈ જમાનાનું ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્વયંભૂ શિવલિંગ એટલે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. ગામના વડીલો પાસેથી મળતી માહિતી અને લોકવાયકા મુજબ ભૂતસર ગામમાં થઈને વહેતી વાંકી નદીના કિનારે આવેલું ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર વર્ષો પુરાણું પેશ્વાઈ કાળનું છે.
ગુજરાતના વલસાડમાં આવેલું છે આ મંદિર
સ્વયંભૂ શિવલિંગની સાથે જોડાયેલી છે આ દંતકથા
મંદિરની આસપાસ 1 કિમી સુધી નથી કોઈ વસ્તી
ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની ગણના પેશ્વાઈ જમાનાની થાય છે. વલસાડથી માત્ર ૨૦ કિમીના અંતરે ધરમપુર રોડ પર આવેલા બોદલાઈ થઈ ભૂતસર ગામે પહોંચાય છે. માત્ર ૨૫૦૦ની વસ્તી ધરાવતા નાનકડા કસબા જેવા ભૂતસર ગામે બહુધા વસ્તી તો રાજપૂત સમાજની છે, પરંતુ વિવિધ સમાજ અને જ્ઞાતિના લોકો એકતા અને સદભાવનાથી રહેતા હોવાથી ભૂતસર ગ્રામ પંચાયત છેલ્લા ત્રણેક વર્ષથી સમરસ ગ્રામપંચાયત બની રહી છે.
મંદિરની આસપાસ ચારેતરફ સુધી કોઈ વસ્તી નથી
મંદિરના જીર્ણોદ્ધાર વખતે મળેલ જૂના અવશેષો તેમજ લોકવાયકા મુજબ અહીં ઐતિહાસિક પેશ્વાઈ વખતનું સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયાની તેમજ આ મંદિરની આજુબાજુ અખૂટ પુરાણું ધનનો ભંડાર હતો. જે ધન બળદ ગાડા દ્વારા લોકો લઇ ગયેલ તેમજ જૂના ચરુ જેવા અવશેષો પણ નીકળેલ છે. તેમજ ત્યાં બ્રાહ્મણોની વસ્તી હશે જેના પરથી પંડ્યા મહાદેવના નામે આ મંદિરની ઓળખ થયેલ હશે. જોકે આજે આ મંદિરની ચારે કોર એક એક કિલો મીટર સુધી વસ્તી નથી.
મંદિર સાથે જોડાયેલી છે આ દંતકથા
જીર્ણોદ્ધાર વખતે મંદિરની નીચે બે જૂના પાયાનાં બાંધકામો જોવા મળેલ છે. જેમાં ઉપરના પાયા પરથી ૧૮૬૨નો તાંબાનો સિક્કો મળી આવેલ છે. જે મુજબ આ મંદિરનો ત્રીજીવાર જીર્ણોદ્ધાર થયો હોય તેવું લાગે છે. એક લોકવાયકા પ્રમાણે ભૂતસર ગામે શિવ અને શક્તિ મહાલક્ષ્મીના મંદિરનો ઇતિહાસ ઘણો પુરાણો તથા રસપ્રદ રહ્યો છે. એક દંતકથા મુજબ મરાઠા સરદાર છત્રપતિ શિવાજી મહારાજે સુરત લૂટ્યું હતું ત્યારે તેઓની સેનાએ ભૂતસર ગામમાં આવેલ સ્મશાન પાસેથી વહેતી વાંકી નદીના કિનારાના તટ પર રોકાણ કર્યું હતું. જે દરમ્યાન સુરતથી લૂંટેલ જર-ઝવેરાત, સોના ચાંદીના સિક્કાઓ ઈત્યાદી અહીંના પરિસરમાં દાટ્યા હતા.
શિવલિંગની મૂર્તિ ૬૦૦ વર્ષથી પણ પુરાણી હોવી જોઈએ
રાજપૂત લોકોના ભાટના ચોપડે જોતા આ શિવલિંગની મૂર્તિ ૬૦૦ વર્ષથી પણ પુરાણી હોવી જોઈએ તેવું જાણવા મળેલ છે. નૈસર્ગિક મનોરમ્ય વાતાવરણથી આચ્છાદિત ભૂતસરમાંથી વહેતી વાંકી નદીના તટ પાસેની સ્મશાન ભૂમિ નજીકના શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અંગેની ઘણી રસપ્રદ વાતો જાણવા જોગ છે. જ્યાં સાક્ષાત ભગવાન આશુતોષનો વાસ છે. એવા મંદિરે ધાર્મિક વિશ્વાસ અને તેના પ્રત્યેની શ્રદ્ધાથી પ્રેરાઇને જોજનો દૂરથી ભાવિક શ્રદ્ધાળુઓ અહી ખેંચાઈ આવતા જોવા મળેલ છે. જીર્ણોદ્ધાર પહેલા આ મંદિર ખૂબ જ નાનું પુરાણું હતું. ત્યાં આજુ બાજુ જંગલ હતું. ગામના આજુ બાજુના લોકો તેમજ ગાય ભેંસ ચરાવવા વાળા ગોવાળો તેમજ અન્ય લોકો ત્યાં દિવસ દરમ્યાન આવતા તેમજ શ્રદ્ધાળુ બહેનો વ્રત લેવા આવતી હતી.