ગુજરાતમાં ચામુંડા માતાનું સ્થાનક ચોટીલામાં આવેલું છે. આ સ્થાનક અમદાવાદથી ૧૪૫ કિમી.ના અંતરે છે. ચોટીલા એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું મહત્વનું યાત્રાધામ છે. નવરાત્રિમાં આ મંદિરમાં ચામુંડા માતાના દર્શનનું ખાસ મહત્વ છે. માન્યતા છે કે અહીં માતાજી દિવસમાં ત્રણ વાર સ્વરૂપ બદલે છે. સવારે બાલિકા રૂપ, સાંજે વૃદ્ધા અને સાંજે કોપાયમાન રૂપ.
નવરાત્રિમાં કરો ચોટીલા મંદિરના દર્શન
ગુજરાતના આ મંદિરની છે ખાસ વિશેષતાઓ
ચોટીલા ડુંગરની ઉંચાઇ 1,173 feetની છે
નવરાત્રિમાં ભક્તો માટે ખુલ્લુ રહેશે મંદિર
ચોટીલા ચામુંડા માતા મંદિર ટ્રસ્ટ તરફથી મળતી માહિતિ અનુસાર હાલ માતાજીનું મંદિર દર્શન માટે ખુલ્લું છે. અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝેશનના નિયમોનું પાલન કરીને માતાજીના દર્શન ચાલુ રાખવામાં આવ્યા છે. નવરાત્રિ દરમિયાન પણ અહીં રાબેતા મુજબ દર્શન ચાલુ રહેશે.
આ નામોથી પણ ઓળખાય છે માતા ચામુંડા
ચામુંડા માતાને ચામુંડી અને ચર્ચિકા તરીકે પણ ઓળખાય છે. તે સપ્ત માતાઓમાંની એક મનાય છે. તે ઉપરાંત 64 જોગણીઓ કે 81 તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે.
આ રીતે તૈયાર થયું સ્વરૂપ, અહીં કરે છે નિવાસ
ચંડ અને મુંડ નામનાં રાક્ષસોને મારનાર દૈવી સ્વરૂપ એટલે ચંડી ચામુંડાનું છે. માતા ચામુંડાને ક્યારેક પાર્વતી, ચંડી અને કાલિનું સ્વરૂપ પણ મનાય છે. માતા ચામુંડાનો નિવાસ મોટાભાગે વડનાં વૃક્ષમાં મનાય છે. હિંદુ ધર્મ ઉપરાંત જૈન ધર્મમાં પણ ચામુંડા માતાનું ઘણું મહત્વ મનાયું છે. ત્રિશુલ અને તલવાર એ ચામુંડાનાં આયુધો છે.
આવો છે ચોટીલાના મંદિરનો ઈતિહાસ
પ્રાચીન સમયમાં ચોટીલા ચોટગઢ કહેવાતું હતું. તે મૂળ સોઢા પરમારોના શાસન હેઠળ હતું, પરંતુ જગસીયો પરમારના શાસન સમયે તે ખાચર કાઠીઓના હાથમાં આવ્યું અને તે તેમનું એક મુખ્ય મથક બન્યું. મોટાભાગના ખાચર કાઠીઓનું મૂળ કુટુંબ ચોટીલામાંથી છે. ચોટીલા ઇ.સ. ૧૫૬૬ના વર્ષમાં કાઠીઓ વડે કબ્જે કરાયું હતું. બ્રિટિશ શાસન સમયે તે એજન્સી થાણાનું મુખ્ય મથક હતું.
ડુંગરની ઉંચાઇ 1,173 feetની છે
અહીં આવેલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર આવેલું છે, જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. આ ડુંગરની ઉંચાઇ 1,173 feet (358 m) જેટલી છે. શ્રદ્ધાળુ લોકો માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે. ચોટીલા મંદીર ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે. ચોટીલા ડુંગર પાસે ભકિતવન નામે બગીચો પણ આવેલો છે. અહીં હાઈવે ઉપર રહેવા તથા જમવા માટે પ્રાઈવેટ હોટલો પણ આવેલી છે. આ ધાર્મિક સ્થળ ગુજરાતનાં મુખ્ય યાત્રાધામો પૈકીનું એક પૌરાણીક અને અગત્યનું યાત્રાધામ છે.