વડોદરાવાસીઓ માટે વરસાદને લઇને રાહતના સમાચાર છે. વડોદરામા રાત્રીથી વરસી રહેલા વરસાદે વિરામ લીધો છે. ત્યારે બીજી તરફ વિશ્વામિત્રી નદીની સપાટી વધતા શહેરીજનો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા NDRFની બે ટીમ વડોદરામાં તૈનાત કરાઈ છે. સાથે જ ડભોઈમાં SDRFની ટીમ પણ તૈનાત કરાઈ છે. જ્યારે હાલ અનેક ગામોમાં વીજળી ગુલ થઇ છે.
થોડા દિવસ અગાઉ ભારે વરસાદથી વડોદરા તરબોળ થયુ હતું. આજવા સરોવરની સપાટી 212.75 ફુટે પહોંચી છે. વિશ્વામિત્રી નદીનુ લેવલ 18.00 ફુટ થયુ છે. જ્યારે સરદાર સરોવર ડેમની હાલની સપાટી 131.09 મીટર પર પહોંચી છે. નર્મદા નદીમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે.
વિશ્વામિત્રી નદીની સપાટી વધી, NDRF-SDRF તૈનાત
વડોદરામાં વરસાદે બીજો રાઉન્ડ શરૂ કરતા જ વિશ્વામિત્રી નદીની સપાટી 18 ફૂટ થઈ છે. જેના પગલે શહેરીજનો ચિતિંત થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવા સરોવર ડેમની સપાટી વધીને 212. 75 ફૂટ થઈ છે. આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં 10 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેના પગલે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 18 ફૂટ થઈ છે. તંત્રએ સ્કુલ કોલેજોમાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે.
અધિકારીઓને રાત્રે હાજર રહેવાનો કલેક્ટરનો આદેશ
આ ઉપરાંત નિચાણવાળા વિસ્તારમાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. વડોદરા કલેક્ટરે તમામ અધિકારીઓને રાત્રે હાજર રહેવાનો આદેશ કર્યો છે. નિચાણવાળા વિસ્તાર જેવા કે સમા સંજયનગર, નવીનગરી, મુજમહોડા, વડસર, પરશુરામ ભઠ્ઠામાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તૈનાત કરી છે. વડોદરા કલેક્ટરે તમામ અધિકારીઓને રાત્રે ઓફિસમાં રોકાઈ નોકરી પર હાજર રહેવાનો આદેશ કર્યો છે. સાથે જ વિશ્વામિત્રી નદીની સપાટી 22 કે 24 ફૂટ પહોંચશે તો નિચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા માટે પણ અધિકારીઓને સુચના આપવામાં આવી છે.
વિશ્વામિત્રીની સપાટી 24 ફૂટ થશે તો નિચાણવાળા વિસ્તારો ખાલી કરાશે
વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે વરસાદના પગલે વિશ્વામિત્રી નદીની સપાટી 22થી 24 ફૂટ થશે તો નિચાણવાળા વિસ્તારોને ખાલી કરવામાં આવશે. તમામ અધિકારીઓને રાત્રે નોકરી પર હાજર રહેવાના પણ આદેશ કર્યા છે. તેમજ તંત્ર કોઈ પણ પરિસ્થતિને પહોંચી વળવા માટે તૈયાર છે.
વડોદરા પોલીસ અલર્ટ
વડોદરામાં સવારથી અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. જેના પગલે કેટલાક રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે. વડોદરા પોલીસ કમિશ્નરે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડબાય અને અલર્ટ રહેવાના આદેશ આપ્યા છે. સાથે જ પોલીસના તમામ વાહનોમાં રેસ્ક્યુના સાધનો રાખવા પણ સુચના આપી છે. ત્યારે જો આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક નહીં ઘટે તો ચોકકસથી ફરી એકવાર વડોદરાવાસીઓને પુર જોવુ પડી શકે છે.
ડભોઇમાં 6 ઈંચ વરસાદ
આગામી બે દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ વડોદરાના ડભોઇમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી. ડભોઇ પંથકમાં 24 કલાકમાં 6 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી બાજુ ખેડુતો દ્વારા પણ ધોધમાર વરસાદને લઈને પોતાનો મલબત પાક બળી જવાની ખેડૂતોમાં ભીતી સેવાઈ રહી છે.
કરનાળી ગામમાંથી 400 લોકોનું સ્થળાંતર
નર્મદા સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ડેમમાંથી 6 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. જેની સીધી અસર વડોદરાના ડભોઇ તાલુકાના 3 ગામોમાં જોવા મળી છે. વડોદરાનું કરનાળી ગામ બેટમાં ફેરવાઇ ગયું છે અને 400 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પાણી છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તારોના ગામોમાં પાણી ઘૂસી ગયા છે. ત્યારે જિલ્લા કલેક્ટરના આદેશને પગલે મેડિકલની ટીમ, નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમ કરનાળી ગામ પહોંચ્યા હતા. મહત્વનું છે કે ગામમાં પાણી આવતા કુબેરભંડારી મંદિર જવાનો માર્ગ બંધ થયો છે. હાલમાં જિલ્લામાં વરસાદનું પણ આગમન થયુ છે. ધીમી ગતિથી પાણી આગળ વધી રહ્યુ છે. આગામી સમયમાં પાણી અનેક વિસ્તારોમાં જાય તેવી શક્યતા છે.
નર્મદાનું પાણી વડોદરામાં
બીજી બાજુ નર્મદા ડેમનું પાણી પણ વડોદરા સુધી પહોંચ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ નારેશ્વર સુધી પહોંચ્યો છે. ડેમનું પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઘણા વર્ષો પછી નારેશ્વરમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
અનસૂયા માતાના મંદિરમાં નર્મદાનું પાણી ભરાયું
વડોદરાના શિનોરમાં અંબાલી ગામમા નર્મદાનું પાણી ધૂસી ગયું છે. અંબાલીમા આવેલા અનસૂયા માતાના મંદિરમાં પાણી ભરાયું છે. નર્મદા અને અનસૂયા બંન્ને બહેનોનુ મિલન અહિં થયું હોવાની લોકોમાં આસ્થા છે. લોકો આ નજારો જોવા માટે મોટી સંખ્યા ઉમટ્યા હતાં.
24 ગામોને કરાયા એલર્ટ
વડોદરાના સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કરનાળીના નર્મદા મૈયામાં પાણીની આવકમાં વધારો થયો છે. વર્ષો બાદ નર્મદા મૈયા 2 કાંઠે વહેતી થઇ છે. જેને લઈને કરનાળી, ચાદોદ, ગંગનાથ પાસે નર્મદા બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે તંત્રએ કાંઠા વિસ્તારના 24 ગામોને એલર્ટ જાહેર કર્યા છે.