સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર તૂટી પડ્યો છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નીકળવા પર રોક લગાવી હતી. જેથી મંદિર પરિસરમાં રથ ફેરવીને રથયાત્રા કાઢવામાં આવી હતી અને પરંપરાને જાળવી રાખવામાં આવી હતી. પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે આ રથયાત્રાનું આયોજન ન થવા કેટલાક તથ્યો રજૂ કરતો પત્ર જાહેર કર્યો છે.
રથયાત્રા બાબતે વિશ્વ હિન્દુ પરિષદના તથ્યો
VHP ગુજરાત અધ્યક્ષ દિલીપ ત્રિવેદીએ સરકારની નીતિ પર ઉઠાવ્યા સવાલ
અમદાવાદ જગન્નાથજીની 143મી રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાઇ
અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાને પરવાનગી આપવાની અરજીઓ ગુજરાત હાઇકોર્ટે ફગાવી હતી. જેમાં હિન્દુ સંગઠનો હિન્દુ યુવા વાહિની અને વિશ્વ હિન્દુ પરિષદની અરજીઓ પણ હાઇકોર્ટે ફગાવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ દિલીપ ત્રિવેદીએ જણાવ્યું કે, હાઇકોર્ટના આદેશના પગલે આજે ભગવાનના રથ મંદિર પરિસરમાં કેદ થયા છે, જે અત્યંત દુઃખદ છે. જોકે અમે કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ. પરંતુ સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં લેતા સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકારે સકારાત્મક અભિગમ પૂર્વક પ્રયાસો કર્યા હોત તો, પુરીની જેમ કર્ણાવતી(અમદાવાદ)માં પણ પરિણામ અલગ હોત.
અમદાવાદમાં રથયાત્રાનું આયોજન નહીં થવા અંગે તેમણે જણાવ્યું કે, જો જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ રથયાત્રા યોજવાની પરંપરા ધરાવતા હતા તો કોર્ટમાં રજૂઆત કરવામાં કેમ કાચા પડ્યા. હાઇકોર્ટે પ્રતિબંધ મુક્યો હતો તો વિરૂદ્ધ કોર્ટમાં કેમ રીવ્યુ પીટીશન ન કરી. 21મી તારીખે કહ્યું કે રથયાત્રા નગરમાં નહીં નીકળે અને રથ મંદિર પરિસરમાં જ ફરશે, લોકો ટીવીના માધ્યમથી ભગવાનના દર્શન કરે તેઓ અનુરોધ કર્યો. આવો નિર્ણય કેમ લઇ લીધો?
વીએચપીએ કહ્યું કે, જો મંદિરના મહંત અને ટ્રસ્ટીઓએ આ નિર્ણયના બદલે હાઇકોર્ટમાં રીવ્યુ પીટીશન દાખ કરી રથયાત્રા યોજવાનો પોતાનો પ્રબળ દાવો કર્યો હોત તો સુપ્રીમ કોર્ટની જેમ ગુજરાત હાઇકોર્ટ પણ શરતોને આધિન મંજૂરી આપત.
વધુમાં તેમણે સરકારની નીતિ અંગે સવાલ કર્યા કે, ગુજરાત સરકારના સકારાત્મક પ્રબળ ઇચ્છા શક્તિના અભાવે પરિણામ દુખદાયક આવ્યું છે. હાઇકોર્ટમાં રીવ્યુ અરજી કરવામાં ત્રણ દિવસ સુધી અગમ્ય અને મૌન રહ્યા. તે દર્શાવે છે કે સરકારે માત્ર પોતે પ્રયત્નશીલ રહ્યા હોવાનો દેખાડો કરવા પુરતી અરજી કરી છે. વીએચપીએ રથયાત્રાને લઇને સરકારનું ઢીલુ વલણ દર્શાવ્યું છે.
જગન્નાથ પુરીની રથયાત્રા માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે તેવી જ રીતે ગુજરાત હાઇકોર્ટથી પણ શરતોને આધિન મંજૂરી મળી ચૂકી હોત.