ખાતર કૌભાંડને લઇ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા આજે ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ખાતરની થેલી લઇ રાજ્ય સરકારનો વિરોધ કર્યો હતો. ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ગાંધીનગરમાં સચિવાલય ખાતે ધરણા શરૂ કર્યા હતા.
તેઓ જ્યારે ખાતર કૌભાંડનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી છે. હર્ષદ રિબડિયાની સાથે તેમના સમર્થકોની પણ અટકાયત કરવામાં આવી છે. સાથે ખાતરની થેલી પણ જમા લીધી છે.
ખાતર કૌભાંડને લઇ ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં પહેલા મગફડી કૌભાંડ પછી તુવેર કૌભાંડ અને હવે ખાતર કૌભાંડ થયું છે. ખાતરમાં ક્યારેય ભેજ નથી લાગતો. આજે વિધાનસભામાં ખાતરની થેલી લઇને આવ્યો છું. 1.5 વર્ષ પહેલાની થેલીમાં 600 ગ્રામ વજન ઓછું છે. એટલે આ કૌભાંડ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતું આવે છે. તેમણે કહ્યું હતું કે હું આ ખાતરની થેલી મુખ્યમંત્રી રૂપાણીને બતાવીશ. સરકાર ખેડૂતોને વળતર આપે.
મહત્વનું છે કે જૂનાગઢમાં ખાતરકાંડ મામલે રાજ્યભરમાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને આજે પાંચમા દિવસે પણ ખાતરનુ વેચાણ બંધ છે. રાજકોટના જેતપુરમાં ખાતર મળતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ખાતરની બોરીમાં ઓછું વજન નીકળતાં તોલ માપ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી. ત્યાર બાદથી જેતપુરના ગોડાઉનમાંથી વેચાણ બંધ કરવામાં આવ્યુ હતું.
વડોદરામાં કોંગ્રેસ કાર્યકરોના ગોડાઉનમાં દરોડા
આ કાંડ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વડોદરામાં ખાંતર કાંડ મામલે કોંગ્રેસના કાર્યકરોએ મળીને ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. જિલ્લા મહામંત્રી સહિત 50 જેટલા કાર્યકરો ખાતરના ગોડાઉન પર જઈ રહ્યા હતા. કોંગી કાર્યકરો ગોડાઉનમાં પહોંચે તે પહેલા પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
હર્ષદ રિબડિયા ખાતરની બોરી લઈને ગાંધીનગરમાં પહોંચ્યા
ત્યારે કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પણ વિરોધ નોંધાવ્યો હતો. ધારાસભ્ય હર્ષદ રિબડિયા ખાતરની બોરી લઈને ગાંધીનગરમાં પહોંચ્યા હતા. તેમણે ખાતરની બોરીમાં ઓછુ વજન હોવાના કારણે વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ તેઓ સચિવાલયમાં ધરણા પર ઉતર્યા હતા. હર્ષદ રિબડીયા સચિવાલયમાં ધરણા કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી.
બનાસકાંઠામાં ખાતરનું વેચાણ શરૂ
એક તરફ વિવાદ ચાલી રહ્યો તો બીજી તરફ બનાસકાંઠામાં ખાતર વેચાણમાં ગેરરીતિ મામલે હવે આજે ફરી ખાતરનું વેચાણ શરૂ કરાયું. GNFC દ્વારા સવારે 10 વાગ્યાથી ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પુરા વજન સાથે ખાતર મળી રહે તે માટે ડેપો મેનેજરની હાજરીમાં જ યોગ્ય તપાસ કર્યા બાદ ખેડૂતોને ખાતર વેચવામાં આવી રહ્યું છે.