ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કોરોના વાયરસના ટેસ્ટથી ડરતાં લોકોને કેન્દ્ર સરકાર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.
કોરોનાના વધતાં કેસ વચ્ચે લોકોની લાપરવાહી અને ટેસ્ટથી બચવાના ટ્રેન્ડથી ચિંતામાં વધારો
સરકારે કોરોના ટેસ્ટથી લોકોને અપીલ કરતા કહ્યું વાયરસથી ડરો પણ ટેસ્ટથી નહીં
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું ભારતમાં રિકવરી રેટ વધી રહ્યો છે અને મૃત્યુદર ઘટી રહ્યો છે
દેશમાં કોરોના વાયરસને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે ટેસ્ટિંગ વધવાના કારણે કેસ વધી રહ્યા છે પરંતુ રિકવરી રેટ સતત વધી રહ્યો છે અને મૃત્યુદર ઓછો થઇ રહ્યો છે. મંત્રાલયે કહ્યું કે રિકવરી રેટ ખૂબ સારો છે અને મૃત્યુદર વિશ્વભરમાં સૌથી ઓછો છે.ટેસ્ટિંગથી ડરતા લોકોને ICMRએ કહ્યું કે જો મોડું થશે તો ઓછી ઉંમરના લોકોને પણ તકલીફ થઇ શકે છે.
નીતિ આયોગના સદસ્ય ડોકટર વીકે પોલે કોરોના વાયરસના વધતાં કેસને લઈને લોકોમાં વધી રહેલા ખતરનાક ટ્રેન્ડ વિશે આગાહ કર્યા. તેમણે કહ્યું કે એવી ફરિયાદો મળી રહી છે કે કેટલાક લોકો કોરોના વાયરસ જેવા લક્ષણો હોવા છતાં ટેસ્ટથી બચી રહ્યા છે. આ સારી બાબત નથી, આ તમારા સીસ્ટમ માટે વધારે ખતરનાક હોઇ શકે છે. તમે તમારા પરિવાર અને સમાજને તકલીફમાં મૂકી રહ્યા છે. તમે તમારી જાતને પણ જોખમમાં નાખી રહ્યા છો. લોકો વાયરસથી ડરવું જોઈએ પરંતુ ટેસ્ટિંગ નહીં. હવે તો ઓન ડીમાન્ડ ટેસ્ટ થઇ રહ્યા છે. ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શનની પણ જરૂર નથી.
તેમણે વધુમાં કહ્યું કે જેમ જેમ ગતિવિધિઓ ખુલી રહી છે તેમ તેમ વાયરસના એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જવાની સરળતા વધી ગઈ છે એટલે લાપરવાહી બિલકુલ ના રાખસો. આસપાસ થૂંકશો નહીં, હાથ ધોતા રહો. આ બધા નિયમો પહેલા કરતા વધારે જરૂરી બની ગયા છે. સરકારને ફરિયાદ મળી રહી છે કે જનતા હવે વધારે લાપરવાહ થઇ ગઈ છે.
તેમણે ચેતવણી આપતા કહ્યું કે મોટા શહેરોથી નાના શહેરોમાં અને શહેરોની આસપાસના ગામડાઓમાં કોરોના વાયરસ વધી રહ્યો છે. જેના કારણે આપણે સતર્ક રહેવાની જરૂર છે. જેનામાં પણ લક્ષણો છે તે તુરત જ ટેસ્ટ કરાવે, જો મોડું થશે તો કોઈ પણ ઉંમરના વ્યક્તિના લોકોને તકલીફ થશે.