બ્રિટનમાં ફેલાયેલા કોરોના વાઈરસના નવા વેરિએન્ટના કારણે આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે. અનેક દેશોએ આ કારણે બ્રિટનથી આવતી-જતી ફ્લાઈટ પર થોડા સમય માટે પ્રતિબંધ મૂકી દીધો છે.
ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના ૬થી ૭ વેરિએન્ટ જોવા મળ્યા અને તે જાતે ખતમ પણ થઈ ગયા
માર્ચમાં D614G નામના કોરોનાના સુપર સ્પ્રેડર વેરિએન્ટે ભારતમાં દસ્તક દીધી હતી, પણ આ સ્ટ્રેન જાતે જ નષ્ટ થઇ ગયો
કોઈ પણ વાઈરસનું મ્યૂટેટ થવું એ એક જનરલ પ્રોસેસ છે
ભારતમાં પણ માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના ૬ થી ૭ વેરિએન્ટ જોવા મળી ચૂક્યા છે, જોકે વધુ મ્યૂટેટ હોવાના કારણે આ વેરિએન્ટ થોડાક જ મહિનામાં જાતે જ ખતમ થઈ ગયા હતા.
દિલ્હીના કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડિસ્ટ્રયલ રિસર્ચ (CSIR)ના ડાયરેક્ટર શેખર માંડેએ જણાવ્યું કે કોઈ પણ વાઈરસનું મ્યૂટેટ થવું એ એક જનરલ પ્રોસેસ છે.
ભારતમાં માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના ૬થી ૭ નવા સ્ટ્રેન મળી ચૂક્યા છે. આ તમામ સ્ટ્રેન ઓરિજિન ભારત બહાર થયા હતા. માર્ચમાં D614G નામના કોરોનાના સુપર સ્પ્રેડર વેરિએન્ટે ભારતમાં દસ્તક દીધી હતી, પરંતુ આ વાઈરસ એટલો વધુ મ્યૂટેટ થયો કે ભારતમાં જૂન આવતા સુધીમાં આ વાઈરસનો સ્ટ્રેન જાતે જ ખતમ થઈ ગયો અને બીજો સ્ટ્રેન આવી ગયો હતો.
કોરોના વેક્સિન મળ્યા બાદ ભારતમાં આ સ્ટ્રેનની કોઈ અસર જોવા મળશે નહીં
માંડેએ બ્રિટનમાં મળેલા નવા સ્ટ્રેનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોરોના વેક્સિન મળ્યા બાદ ભારતમાં આ સ્ટ્રેનની કોઈ અસર જોવા મળશે નહીં. CSIRની દિલ્હી અને હૈદરાબાદ સ્થિત લેબમાં નવા સ્ટ્રેનથી સસ્પેક્ટેડ કોરોના સંક્રમિત લોકોનું સતત સિક્વન્સિંગ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, પરંતુ રાહતની વાત એ છે કે હજુ સુધી બ્રિટનમાં મળેલા સ્ટ્રેનનો એક પણ કેસ સામે આવ્યો નથી.
ભારતમાં જીનોમ સિક્વન્સિંગના દર હાલ અન્ય દેશો કરતા ખૂબ ઓછા
ઉલ્લેખનીય છે કે ભારતમાં જીનોમ સિક્વન્સિંગના દર હાલ અન્ય દેશો કરતા ખૂબ ઓછા છે. જીનોમ સિક્વન્સિંગના ગ્લોબલ ડેટા બહાર પાડનારી વૈશ્વિક સંસ્થા GISAIDનું માનીએ તો ભારતમાં હાલ ટેસ્ટિંગનો દર માત્ર ૦.૦૪ ટકા છે. અત્યાર સુધીમાં એક કરોડથી વધુ કોરોના સંક્રમિત કેસમાં માત્ર ૪,૨૩૮ લોકોના જ સેમ્પલ્સનું જીનોમ સિક્વન્સિંગ થયું છે, જ્યારે બ્રિટનમાં જીનોમ સિક્વન્સિંગનો દર ૬ ટકા કરતાં પણ વધુ છે. બ્રિટનમાં હાલ ૨૨ લાખથી વધુ કોરોના સંક્રમિત કેસોમાં ૧.૩૫ લાખથી વધુ કોરોના સંક્રમિત લોકોનું જીનોમ સિક્વન્સિંગ થયું છે.