ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધીમાં 2600 જેટલા દર્દીના મોત નિપજ્યા છે. ત્યારે વુહાનમાં હજુ પણ કેટલાક ભારતીય નાગરિકો ફસાયા છે. જેમને ત્યાંથી એરલિફ્ટ કરવામાં આવશે.
ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત્
ચીનમાં 2600 જેટલા દર્દીના થઈ ચૂક્યા છે મોત
ચીન બાદ દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસની દસ્તક
બુધવારે ભારતનું એરફોર્સનું વિમાન વુહાન જશે. જ્યાં ચીને ભારતીય સૈન્ય પરિવહન વિમાનને મંજૂરી આપી છે. બીજી તરફ ચીનથી ફેલાયેલો કોરોના વાયરસ 31 દેશમાં ફેલાઈ ગયો છે. વિશ્વભરમાં 77 હજાર 150 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
જાપાનના દરિયા કિનારે ઉભેલા ડાયમંડ પ્રિન્સેસ જહાજમાં વધુ 2 ભારતીય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ચીનમાં કોરોના વાયરસના કારણે વધુ 150 લોકોના મોત નિપજ્યા છે. દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસના કારણે 7ના મોત નિપજ્યા છે. જ્યારે 763 લોકોના કેસ પોઝિટિવ છે.
દક્ષિણ કોરિયામાં કાર્યરત ભારતીય દૂતાવાસે પણ દક્ષિણ કોરિયાનો પ્રવાસ ન કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. બીજી તરફ ઈરાનમાં 50 લોકોના મોત થયાના અહેવાલ છે. તો ઈટલીમાં પણ 5 લોકોના મોત નિપજ્યા છે. અફઘાનિસ્તાનમાં પણ કોરોનાનો એક કેસ સામે આવ્યો છે. જ્યારે પાકિસ્તાને પણ ચીન જતી ફ્લાઈટની ઉડાન 15 માર્ચ સુધી રદ કરી દીધી છે..