દેશમાં કોરોના વાયરસનો કહેર ઘટી રહ્યો છે. રોજબરોજ નોંધાતા કોરોનાના કેસ ઘટી રહ્યા છે. મોતની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે જો આગામી 4 અઠવાડિયા સુધી કોરોનાના કેસ ઘટતા રહેશે અથવા તો સ્થિર થઇ જશે તો કોરોના વાયરસ સંક્રમણ એન્ડેમિક એટલે કે સ્થાનિય સ્તર પર ફેલાનારી બીમારીના તબક્કામાં સામેલ કરાશે એવું વાયરોલોજિસ્ટ ટી જૈકબ જૉને કહ્યું.
આ સમય એન્ડેમિક જાહેર કરવાનો નથી
જ્યાં સુધી કેસની સંખ્યા 4 અઠવાડિયા સુધી ઘટે કે સ્થિર ન રહે ત્યાં સુધી, અમે તેને એન્ડેમિક જાહેર કરી શકીએ નહીં. જ્હોને વઘુમાં જણાવ્યું હતું કે
ઓમિક્રોન લહેર ઝડપથી ધીમી પડી રહી છે. થોડા જ દિવસોમાં સૌથી ઓછા કેસ જોવા મળશે પરંતુ એન્ડેમિકને લઇને સુનિશ્ચિત કરતા પહેલા આપણે 4 અઠવાડિયા સુધી રાહ જોવી જોઇએ. જૉને કહ્યુ કે જેમ ઓમિક્રોને આપણને હેરાન પરેશાન કરી દીધા છે ત્યારે એક વધારે અજીબ રુપ આપણને આશ્ચર્યચકિત કરી શકે છે.
એન્ડેમિક અને પેન્ડેમિકમાં શુ તફાવત
પેન્ડેમિક એટલે વિશ્વ સ્તરે જોવા મળતી મહામારી અને જ્યારે એન્ડેમિક એટલે સ્થાનિક સ્તરે ફેલાતી બીમારી . એવી બીમારી કે જે વૈશ્વિક સ્તરે નહી પરંતુ સ્થાનિક સ્તરે જ જોવા મળે.
વધુ ખતરનાક વેરિઅન્ટ આવવાની શક્યતા ઓછી છે
સેન્ટર ઑફ એડવાન્સ્ડ રિસર્ચ ઇન વાઈરોલોજી, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ભૂતપૂર્વ ડિરેક્ટરે કહ્યું કે આ અંગે ભવિષ્યવાણી કરી ન શકાય. પરંતુ અનુમાન લગાવી શકાય છે. તેમણે આગાહી કરી હતી કે સ્થાનિક તબક્કો ઘણા મહિનાઓ સુધી ચાલશે અને ઓમિક્રોન કરતાં વધુ ચેપી અને ડેલ્ટા કરતાં વધુ ખતરનાક કંઈક બહાર આવવાની શક્યતા ઓછી છે.
વાયરસ સાથે ટેવાવું પડશે
એપિડેમિયોલોજિસ્ટ અને દિલ્હી સ્થિત ફાઉન્ડેશન ફોર પીપલ-સેન્ટ્રિક હેલ્થ સિસ્ટમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચંદ્રકાંત લહરિયાએ જણાવ્યું હતું કે કોવિડ-19 ભારતમાં સ્થાનિક તબક્કામાં પ્રવેશી રહ્યું છે કે નહીં, સામાન્ય જનતાના દૃષ્ટિકોણથી તેની સુસંગતતા મર્યાદિત છે. લહરિયાએ કહ્યું કે લોકોએ જોખમના સ્તરના આધારે વાયરસ સાથે જીવવાની નવી રીતો સાથે પોતાને અનુકૂળ બનાવવું પડશે. કોવિડ-19ને કારણે કંઈ અટકવું જોઈએ નહીં.
દેશમાં સંક્રમણના નવા કેસ 30 હજારથી ઓછા છે
મંગળવારે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના 27,409 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં ચેપના કુલ કેસોની સંખ્યા 4,26,92,943 થઈ ગઈ છે. દેશમાં લગભગ 44 દિવસ પછી, ચેપના દૈનિક 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. તે જ સમયે, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 4,23,127 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, આ રોગચાળાને કારણે વધુ 347 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક વધીને 5,09,358 થઈ ગયો છે. કોવિડ-19ના દૈનિક કેસ સતત 9મા દિવસે 1 લાખથી ઓછા છે.