ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે મંગળવારે કહ્યું કે, મને નથી લાગતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝનમાં સારું પ્રદર્શન કરવા પર મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ શકે છે.
વિરેન્દ્ર સહેવાગ તાજતેરમાં જ પોતાની અમદાવાદમાં પોતાની બ્રાન્ડ 'વીએસ'ના પહેલા સ્ટોરના ઓપનિંગ માટે આવ્યો હતો. તેણે કહ્યું કે, IPLમાં સારા પ્રદર્શન છતાં મને ધોનીની ટીમમાં વાપસી સંભવ નથી લાગતી.
વિરેદન્દ્ર સહેવાગે વધુ ઉમેરતા જણાવ્યું કે, સિલેક્ટર્સ એક પ્લેયરને ટીમની બહાર કાઢે છે તો તેની વાપસી અઘરી થઇ જાય છે. તેમજ જો તે IPLમાં સારું પ્રદર્શન કરશે તો ભારતીય ટીમમાં કોની જગ્યાએ રમશે? તેની જગ્યાએ ઋષભ પંત આવ્યો હતો. અત્યારે લોકેશ રાહુલ વિકેટકીપિંગ કરી રહ્યો છે અને સારા ફોર્મમાં છે. રાહુલના પ્રદર્શનને જોતા ધોનીને ટીમમાં લેવાની વાત વિચારવામાં આવે તેમ નથી.
સહેવાગે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ખરાબ ફોર્મ વિશે વાત કરતા કહ્યુ કે, દરેક ખેલાડીના જીવનમાં એકવાર તો ખરાબ ફોર્મમાંથી પસાર થાય છે. રિકી પોન્ટિંગ અને સ્ટીવ વોએ પણ આવા સમયનો સામનો કર્યો છે. વિરાટની ટેક્નિક કે રમવાની રીતમાં કોઈ વાંધો નથી. આમાં નસીબ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. ભારતની આવતી સીરિઝમાં અથવા આગામી IPLમાં તે નિશ્ચિતરૂપે ફોર્મમાં પરત ફરશે.
હાર્દિકના કમબેકથી ટીમ મજબૂત થશે
ટીમ ઇન્ડિયાનું ન્યૂઝીલેન્ડમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જોકે હાર્દિક પંડ્યાની વાપસીથી ઓસ્ટ્રેલિયામાં થનાર T-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા મજબૂત થઈને મેદાને ઉતરશે. જોકે T-20માં કોઈપણ ખેલાડી એકલા હાથે મેચનું રૂપ બદલી શકે છે, તેથી કોઈ એક ટીમને દાવેદાર કહી શકાય નહીં.