ભારતીય ટીમના પૂર્વ ધમાકેદાર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગને સોશિયલ મીડિયા પર ટિપ્સ આપવાનો બાદશાહ માનવામાં આવે છે. આજે વિરેન્દ્ર સહેવાગે વિવાહિત પુરૂષોને ટ્વીટ કરી સલાહ આપી છે. ટ્વીટર પર સહેવાગે કહ્યું કે સુખનો એક જ સિમ્પલ મંત્ર 'પત્ની સુખી તો જીવન સુખી'.
એકબાજુ ભારતીય ટીમના કોચ માટેની રેસ ચાલી રહી છે. બીજીબાજુ રવિ શાસ્ત્રી પોતાની બાજી રમી રહ્યા છે પરંતુ સહેવાગ જરાપણ નિરાશ નથી દેખાઈ રહ્યો. તે તો પોતાના પ્રશંસકો અને મિત્રો સાથે મજાક મસ્તી કરવામાં વ્યસ્ત છે.
મહત્વની વાત એ છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ માટે અરજી કરવાની સમય મર્યાદા 9 જુલાઈ સુધી વધારી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના કોચ માટે અત્યાર સુધીમાં પાંચ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં વિરેન્દ્ર સહેવાગ અફઘાનિસ્તાનના કોચ લાલચંદ રાજપૂત સનરાઈઝર્સ હૈદરાબાદના કોચ ટોમ મૂડી પાકિસ્તાનના પૂર્વ કોચ રિચર્ડ પાઈબસ અને પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ડોડા ગણેસનો સમાવેશ થાય છે. સચિન તેંડૂલકર સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની બનેલી સલાહકાર સમિતી આ પાંચ નામોમાંથી કોચની પસંદગી કરશે.
કોચની રેસ આ પાંચ ઉમેદવાર અને અનિલ કુંબલે વચ્ચે થવાની હતી પરંતુ બે અઠવાડીયાનું એક્સટેન્શન લેવાનું ના કહી અનિલ કુંબલે આ રેસમાંથી બહાર નીકળી ગયો. બીસીસીઆઈએ ત્યારબાદ ફરી અરજી મંગાવવાનો નિર્ણય કર્યો હતો.