કપિલ દેવના નેતૃત્વવાળી પેનલને ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચની પસંદગીની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી તેમાં કોઇ દખલગીરી નહી કરી શકે.
કોચ પદ માટે BCCIને અરજી કરવા માટેની છેલ્લી તારીખ 30 જૂલાઇ રાખવામાં આવી છે. કોચ પર અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી સમિતિ (CoA), સ્ટીયરિંગ કમિટી અને કપિલ દેવની કમિટી લેશે. રવિ શાસ્ત્રીને 2017માં ટીમ ઇન્ડિયાનો કોચ બનાવવામાં આવ્યા હતા.
વિરાટ કોહલીએ ગઇ વખતે રવિ શાસ્ત્રીને કોચ બનાવવા માટે કથિત રૂપે દખલગીરી કરી હતી. તાત્કાલિન કોચ અનિલ કુંબલેના વિવાદ પછી તેણે કોચ બદલવાની માંગ કરી હતી. આ પછી કુંબલેએ પોતે રાજીનામું આપી દીધુ હતુ. વિરાટ કોહલીના કહેવા પર જ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ વાળી ક્રિકેટ એડવાઇઝરી કમિટીએ શાસ્ત્રીને કોચ તરીકે નિયુક્ત કર્યા હતા.
એક રિપોર્ટ અનુસાર, BCCIના અધિકારી અનુસાર, ગઈ વખતે કોહલીએ કુંબલે સાથે પોતાની અને ટીમની પરેશાની અંગે વાત કરી હતી. જોકે આ વખતે નવા કોચ અંગે તેઓ કોઇ પણ પ્રકારની દખલગીરી નહી કરી શકે, આ નિર્ણય માત્ર કપિલ દેવની કમિટીને કરવાનો છે, જે વિરાટ કોહલીનો કોઇ સલાહ સાંભળશે નહી.
કોચની પસંદગી કપિલ દેવની ત્રણ સભ્યોવાળી કમિટી કરશે. આ કમિટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયને વિરાટની સાથે આખી ટીમે માનવો પડશે. જોકે કોચ અંગે અંતિમ નિર્ણય તો CoA જ લેશે. રવિ શાસ્ત્રીની કોચિંગમાં ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હારી ગઈ હતી.
BCCIએ મુખ્ય કોચની સાથે બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડિંગ કોચ, ફીઝિયો, સ્ટ્રેન્થ એન્ડ કંડિશનિંગ કોચ અને એડમિનિસ્ટ્રેટિવ મેનેજરના પદ માટે અરજી મંગાવી છે. નવો કોચિંગ કોન્ટ્રાકટ 5 સપ્ટેમ્બર 2019થી 24 નવેમ્બર 2021 સુધી ચાલશે. એડમિનિસ્ટ્રેટિવ મેનેજરનો કોન્ટ્રાકટ એક વર્ષ માટેનો રહેશે.