ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર એન્ટી સોશિયલ કન્ટેન્ટ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા અભિયાનમાં જોડાઈ ગયો છે. વિરાટે લોકોને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર એવા મેસેજ ફોરવર્ડ ન કરવા જે સમાજ અને દેશના હિતમાં નથી. આવા ખોટા અને ભ્રામક પ્રચાર કોરોના વારયસથી પણ ખતરનાક છે. કેપ્ટન કોહલીએ કહ્યું કે, એક ફેક વીડિયો દેશભરમાં નફરત ફેલાવી શકે છે, તેથી દરેકને જાગૃત રહેવાની જરૂર છે.
વિરાટ સહિત આ સેલેબ્સનો વીડિયો વાયરલ
વીડિયોમાં આ વાયરસને ગણાવ્યો કોરોનાથી પણ વધુ ઘાતક
એન્ટી સોશિયલ કન્ટેન્ટને ફોરવર્ડ ન કરવાની ચર્ચા કરતા બનાવ્યો વીડિયો
31 વર્ષીય વિરાટ કોહલીએ આજે પોતાના ટ્વિટર હેન્ડલથી દોઢ મિનિટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં વિરાટ સિવાય બોલિવૂડની અન્ય ત્રણ હસ્તીઓ પણ છે જે લોકોને દેશનાહિતમાં ભ્રામક અને વહિયાત કન્ટેન્ટને રોકવાની અપીલ કરી રહ્યા છે. બોલિવૂડની આ ત્રણ હસ્તીઓમાં આયુષ્માન ખુરના, કૃતિ સેનન અને સારા અલી ખાનનો સમાવેશ થાય છે.
આ વીડિયો પોસ્ટ કરતાં વિરાટે કેપ્શન લખ્યું, 'જ્યારે અમે દેશ માટે રમીએ છીએ ત્યારે તમે સંપૂર્ણ ઉત્સાહથી અમારું સમર્થન કરો છો પરંતુ હવે દેશને તમારી જરૂર છે. મને અને આપ સૌને દેશ માટે આ ભૂમિકા ભજવવાની છે. શું તમે સાથ આપશો. તેની સાથે જ વિરાટે મતકર ફોરવર્ડ હેશટેગનો પણ પ્રયોગ કર્યો છે.
એન્ટી સોશિયલ કન્ટેન્ટ સામે જાગૃતિ લાવવાની આ ઝુંબેશ સોશિયલ મીડિયા પર વીડિયો પ્રમોટિંગ સાઈટ ટિકટોકે શરૂ કરી છે. વિરાટ કોહલી અને અન્ય હસ્તીઓ પણ લોકહિતના આ અભિયાન સાથે જોડાયા છે. આ વીડિયોમાં વિરાટ, આયુષ્માન, કૃતિ સેનન અને સારા અલી ખાન જણાવે છે કે, જો કોઈ કન્ટેન્ટ પરીક્ષણ કર્યા વિના અથવા સત્યને જાણ્યા વિના આગળ અન્ય લોકોને ફોરવર્ડ કરવામાં આવે તો તેના ગંભીર પરિણામ આવી શકે છે. જેથી આ હસ્તીઓએ લોકોને આવું ન કરવાની સલાહ આપી છે.