ICC વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે 18 રનથી હારીને ટૂર્નામેન્ટ બહાર થયાં મામલે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું હતું કે અમે 45 મિનિટની ખરાબ રમતે બહારનો રસ્તો દેખાડી દીધો.
ઉલ્લેખનીય છે કે, કોહલીએ એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાની ટીમની હારનો સ્વીકાર કરતા કહ્યું કે, ન્યૂઝીલેન્ડે શાનદાર બોલિંગ કરી અને તેના પ્રથમ સ્પેલમાં તફાવત ઉભો કરી દીધો હતો. પ્રથમ 44 મિનિટમાં ગેમ પલટાઇ. કોહલીએ કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડની રમતથી મને આશ્ચર્ય થયું નહોતું, પરિસ્થિતિ બોલરોના પક્ષમાં હતી. ન્યૂઝીલેન્ડ દ્વારા રોહિત શર્મા અને મને નાંખવામાં આવેલ બોલ શાનદાર હતા. તેઓએ (ન્યૂઝીલેન્ડ) સારી રીતે ફિલ્ડિંગ કરી રહ્યા છે અને અમારા પર દબાણ કરવામાં સફળ રહ્યા છે.
કપ્તાને કહ્યું, હાર બાદ નિરાશા તો હોય જ છે પરંતુ અમે દુ:ખી જરુર છીએ પરંતુ નિરાશ નહીં. અમે બેસીને વાતચીત કરીશું કે આ મેચમાં અમારી ભૂલો ક્યાં થઇ. કોહલીએ કહ્યું કે અમે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર રમત રમી. પરંતુ આજે હારી ગયા.
ધોનીના સંન્યાસ પર
ધોનીએ સંન્યાસ મામલે તમારી સાથે કોઇ વાતચીત કરી છે. જવાબમાં કોહલીએ કહ્યું કે, અમારી કોઇ વાતચીત થયેલ નથી અને આ વિષયમાં મને કાંઇ ખબર પણ નથી. આ સાથે જ તેમણે કહ્યું કે, અમારી સારી બાબતો સામે પણ જોવું જોઇએ. અમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન સારી રમત રમી. પરંતુ આજના 45 મિનિટની ખરાબ રમતને કારણે અમે હારી ગયા.
ટીમ ઈન્ડિયાની શરૂઆત રહી ખૂબ જ ખરાબ
ન્યૂઝીલેન્ડના 240 રનના લક્ષ્યાંકની સામે ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ચાર ઓવરમાં જ ટીમ ઈન્ડિયાએ પોતાના ટૉપ બૅટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર રોહિત શર્મા (1) કે.એલ રાહુલ (1) મેદાનમાં ઉતર્યા હતા. બીજી ઓવરમાં રોહિત શર્મા, ત્રીજી ઓવરમાં વિરાટ કોહલી (1) અને ચોથી ઓવરમાં કે.એલ રાહુલને પેવેલિયનભેગાં કરી દીધાં હતીં. મેટ હૅનરી અને ટ્રેન્ટ બોલ્ટની જોડીએ 10મી ઓવરમાં દિનેશ કાર્તિક (6)ને પણ આઉટ કરી દીધો હતો.
જો કે ત્યાર બાદ હાર્દિક પંડ્યા (32) અને ઋષભ પંત (32) બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટીમની નૈયા પાર કરાવવામાં સફળ રહ્યાં ન હતાં. જો કે ત્યાર બાદ આવેલા બેટ્સમેન રવિન્દ્ર જાડેજા (77) એ ધમાકેદાર બેટિંગ કરતા ભારતીયોમાં ફરીએકવાર મેચ જીતવાની આશા જીવંત થઈ હતી. જાડેજાએ 59 બોલમાં 77 રન નોંધાવ્યા હતા. પરંતુ બોલ્ટના બોલ પર આઉટ થતાં ભારતની જીતવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. ધોનીએ જાડેજા સાથે સારી એવી પાર્ટનરશિપ કરતા 72 બોલમાં 50 રન ફટકાર્યા હતાં. તેમ છતાં ભારતના બેટ્સમેનો ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં લઈ જવામાં નિષ્ફળ નીવડ્યાં હતાં.