વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા વિરાટ કોહલીના નેતૃત્વમાં સેમિફાઇનલ સુધી પહોંચી શકી. વર્લ્ડકપ પૂરો થયા બાદ ઘણી વાતો સામે આવી છે
સૂત્રોનુસાર વિરાટ અને રોહિત વચ્ચેના કહેવાતા ઘર્ષણની પણ વાત સામેલ છે, સાથે-સાથે હવે એવી વાતો પણ થઈ રહી છે કે BCCI વન ડેની કેપ્ટનશિપ વિરાટ પાસેથી છીનવી લઈને રોહિત શર્માને સોંપી દેવા માગે છે, જોકે હજુ આ વાતની પુષ્ટિ નથી થઈ. આ બધા વચ્ચે વિરાટ કોહલીને લઈ એક સમાચાર આવ્યા છે કે તેણે આગામી મહિને વિન્ડીઝના પ્રવાસે જવાનો નિર્ણય કર્યો છે.
વિન્ડીઝનો આ પ્રવાસ લગભગ એક મહિનાનો છે, જેમાં ટીમ ઇન્ડિયા વન ડે, T-20 અને ટેસ્ટ સીરિઝ રમવાની છે. પહેલાં એવું નક્કી કરાયું હતું કે વિન્ડીઝના પ્રવાસ દરમિયાન વિરાટ કોહલી અને જસપ્રીત બૂમરાહને આરામ અપાશે, જોકે હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે વિરાટ વિન્ડીઝના પ્રવાસે જશે. સવાલ એ થાય છે કે વિરાટે અચાનક નિર્ણય શા માટે બદલ્યો? મીડિયા અહેવાલો પ્રમાણે આની પાછળનું કારણ કેપ્ટનપદ છે. વિરાટને ટેસ્ટ અને રોહિતને વન ડે ટીમની કેપ્ટનશિપ સોંપાય તેવી વાતો થઈ રહી હોવાથી વિન્ડીઝ પ્રવાસ દરમિયાન વિરાટ ખુદને કેપ્ટન તરીકે સાબિત કરવા માગે છે અને આ જ કારણે તેણે આરામ કરવાનો નિર્ણય માંડી વાળ્યો છે.
ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદથી કોહલી સતત રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ઘરેલુ વન ડે શ્રેણી માટે ટીમનું નેતૃત્વ કરતાં પહેલાં તેણે ન્યૂઝીલેન્ડમાં અંતિમ બે એક દિવસીય અને T-20 સીરિઝ માટે આરામ અપાયો હતો.
જ્યારે ભારતના સૌથી અનુભવી ખેલાડી મહેન્દ્રસિંહ ધોની માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પ્રથમ વિકેટકીપર તરીકે વિન્ડીઝના પ્રવાસે નહીં જાય. ધોની ટીમ ઇન્ડિયાના બદલાવના તબક્કામાં ટીમની સાથે તો રહેશે, પરંતુ તે ઋષભ પંતને ભવિષ્ય માટે તૈયાર કરશે.
ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાનો વિન્ડીઝ પ્રવાસ તા. ૩ ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે, જેમાં પહેલાં 3 T-2૦ મેચ, પછી 3 વન ડે અને બાદમાં 2 ટેસ્ટ મેચની સીરિઝ રમાશે. T-20 સીરિઝ તા. 3 ઓગસ્ટથી અને વન ડે સીરિઝ તા. 8 ઓગસ્ટથી શરૂ થશે.