ભારતીય ટીમનો યજમાન ન્યૂઝીલેન્ડે ટેસ્ટ શ્રેણીમાં ૨-૦થી સફાયો કરી નાખ્યો. આ શ્રેણીમાં ભારતીય બેટ્સમેનો અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નહીં. સૌથી વધુ નિરાશ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કર્યા. તેના બેટમાંથી માત્ર ૩૮ રન જ નીકળ્યા. તેના કરતાં વધારે રન તો ભારતીય ફાસ્ટ બોલર મોહંમદ શામીએ ૧૦મા ક્રમે બેટિંગ કરીને બનાવ્યા. શમીએ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં ૪૪ રન બનાવ્યા અને પાંચ વિકેટ પણ ઝડપી. ટેસ્ટ શ્રેણીમાં વિરાટની બેટિંગ સરેરાશ ૯.૫૦ની રહી, જે કોઈ પણ ટેસ્ટ શ્રેણીમાં વિરાટની બીજા નંબરની સૌથી ખરાબ સરેરાશ છે.
કોહલીએ સાથી ખેલાડીઓને કહ્યું ''ભારતમાં જ્યારે આ લોકો આવશે ત્યારે દેખાડી દઈશ.''
ચાહકોનું કહેવું છે કે આ યોગ્ય સ્પોર્ટ્સમેન સ્પિરિટ નથી
પ્રેસ કોન્ફરન્સમાં પણ વિરાટ કોહલી એક પત્રકાર સાથે ઝઘડી પડ્યો
ભારતમાં જ્યારે આ લોકો આવશે ત્યારે દેખાડી દઈશઃ વિરાટ કોહલીની ચેતવણી
કેપ્ટન કોહલી ટીમ ઇન્ડિયાના પરાજય બાદ બહુ જ નિરાશ થયો છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ટી-૨૦ શ્રેણી જ જીતી શકી. વન ડે અને ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમનો કારમો પરાજય થયો. ગઈ કાલે પૂરી થયેલી બીજી ટેસ્ટ બાદ મેદાન પર કોહલી પોતાના સાથી ખેલાડીઓને એવું કહેતાં સંભળાયો હતો, ''ભારતમાં જ્યારે આ લોકો આવશે ત્યારે દેખાડી દઈશ.'' કોહલીના આ નિવેદનથી એક નવો વિવાદ ઊભો થવાની શક્યતા છે. ચાહકોનું કહેવું છે કે આ યોગ્ય સ્પોર્ટ્સમેન સ્પિરિટ નથી. ઉલ્લેખનીય છે કે પ્રેસ કોન્ફરન્સમાં પણ વિરાટ કોહલી એક પત્રકાર સાથે ઝઘડી પડ્યો હતો.
ભારતીય બેટિંગ આટલી ખરાબ બહુ ઓછી જોવા મળી છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં એક પણ ભારતીય બેટ્સમેન સદી ફટકારી શક્યો નહીં. કોઈ ટેસ્ટ શ્રેણીમાં આવું છેલ્લે ૨૦૦૨-૦૩માં જોવા મળ્યું હતું, જ્યારે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડમાં હતી. ત્યાર બાદથી ભારત ૬૦ ટેસ્ટ શ્રેણી રમ્યું અને દરેક શ્રેણીમાં કોઈ ભારતીય બેટ્સમેને સદી જરૂર ફટકારી છે.
ભારતીય બેટિંગના ખરાબ સ્તરનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે આ ટેસ્ટ શ્રેણીમાં તેમના તરફથી સર્વોચ્ચ સ્કોર ૫૮ રનનો રહ્યો, જે ઓપનર મયંક અગ્રવાલે પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં નોંધાવ્યો હતો.
પરાજયના દોષનો ટોપલો બેટ્સમેનો પર ઢોળવો યોગ્ય નથી. શ્રેણીમાં ટીમના બોલર પણ પ્રભાવશાળી રહ્યા નહીં. મેચ જીતવા માટે ૨૦ વિકેટ ઝડપવાની જરૂર હોય છે, પરંતુ ભારતીય બોલર્સ એવું કરી શક્યા નહીં. ફાસ્ટ બોલરને અનુકૂળ વાતાવરણમાં પણ ભારતીય પેસર્સ શ્રેણીમાં ૪૦માંથી માત્ર ૧૮ જ વિકેટ ઝડપી શક્યા, જ્યારે ન્યૂઝીલેન્ડના પેસર્સે ૩૮ વિકેટ ઝડપી. ૩૮ v/s ૧૮નું અંતર એ સમજવા માટે પૂરતું છે કે શ્રેણીમાં ભારતીય પેસર્સે કેવું કંગાળ પ્રદર્શન કર્યું.