ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ વિરાટ કોહલી કંગાળ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે અને હવે તે એક મોટી ઈનિંગની રાહ જોઈ રહ્યો છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની મુશ્કેલીઓમાં થઇ રહ્યો છે વધારો
BCCIના એક અધિકારીએ વિરાટ કોહલીના વર્તમાન ફોર્મ પર ચિંતા દર્શાવી
આ દરમ્યાન આઈપીએલ બાદ શરૂ થતી સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી અંગે ચર્ચા શરૂ થઇ છે. બીસીસીઆઈના એક અધિકારીએ વિરાટ કોહલીના વર્તમાન ફોર્મ પર ચિંતા દર્શાવી છે અને કહ્યું છે કે બીસીસીઆઈ અને પસંદગીકારો માટે હવે આ મહત્વનો વિષય બની ગયો છે. જો કે, હવે એવો સંકેત પણ મળી રહ્યો છે કે સાઉથ આફ્રિકા સામે રમાનારી પાંચ મેચની ટી-20 શ્રેણીમાં વિરાટ કોહલીને આરામ અપાઈ શકે છે. ઈનસાઈડ સ્પોર્ટસથી સિલેક્શન કમિટીના એક મેમ્બરે કહ્યું છે, આ પ્રથમ વખત નથી જ્યારે કોઈ મોટો ખેલાડી આ પ્રકારના તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. આમ પણ આ શ્રેણી માટે યુવાનોને તક આપવાની કોશિશ છે. એટલેકે સીનિયર ખેલાડીઓને આરામ મળી શકે. વિરાટને આરામ આપવામાં આવશે. પરંતુ જો તેઓ રમવા માગે છે તો અમે વિચાર કરીશુ. પસંદગીકારો મીટીંગ પહેલા તેમની સાથે વાતચીત કરશે.
વિરાટ કોહલીની સતત નિષ્ફળતા
મહત્વનું છે કે, વિરાટ કોહલી આઈપીએલ 2022માં રન માટે તરસી રહ્યાં છે. વિરાટ કોહલી આ સિઝનમાં 9 મેચમાં 128 રન બનાવ્યાં છે. જેમાંથી પાંચ વખત દસનો આંકડો પાર કરી શક્યા નથી. આ સિઝનમાં વિરાટ કોહલીન સ્કોર 41, 12,5,48,1,12,0,0,9 રહ્યો છે. ભારતીય ટીમ 9 જૂનથી સાઉથ આફ્રિકા સામે ટી-20 શ્રેણી રમવાની છે. માનવામાં આવે છે કે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ સહિત અન્ય અમુક સીનિયર ખેલાડીઓને આ શ્રેણીમાં આરામ મળી શકે છે.