ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ભારત પાકિસ્તાન મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે કહ્યું કે અમે મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. આ દરમિયાન કોહલી એક સવાલ પર ગુસ્સે પણ થઈ ગયો હતો.
ભારત-પાકિસ્તાનની મેચ પહેલા કોહલીએ પત્રકાર પરિષદને કર્યું સંબોધન
કેપ્ટનશીપના સવાલને લઈને અચાનક ભડક્યો
કહ્યું- તમારે એક જ મુદ્દો પકડી રાખવો છે તો હું કાઈ ન કરી શકું
જ્યારે પત્રકારોએ તેમને આ વર્લ્ડ કપ પછી T20I કેપ્ટનશીપ છોડવાના નિર્ણય વિશે પ્રશ્ન કર્યો, ત્યારે તેણે કહ્યું, 'મેં આ વિશે મારી વાત પહેલેથી જ જણાવી દીધી છે, જો તમારે વારંવાર એક જ મુદ્દો પકડી રાખવો હોય, તો હું કંઈ કરી શકતો નથી. અમારું ધ્યાન આ ટૂર્નામેન્ટ પર છે. અમે એક ટીમ તરીકે સારું રમવા માંગીએ છીએ. જો તમારે કંઈક ખોદવું હોય, તો અહીં કંઈ નથી.'
તેણે આગળ કહ્યું કે, અમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે મેચમાં ઉતરીશું. પાકિસ્તાનની ટીમ પણ ઘણી મજબૂત છે. તેમની પાસે એવા ખેલાડીઓ છે જે કોઈપણ મેચને પોતાના દમ પર પોતાની તરફ ફેરવી શકે છે. અમે ફક્ત અમારી યોજના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
હાર્દિક પંડ્યાની હાલત સુધારા પર છે
વિરાટે હાર્દિક વિશે કહ્યું, 'હાર્દિક પંડ્યાની હાલની હાલત દિવસેને દિવસે સારી થઈ રહી છે અને તે વર્લ્ડ કપની મેચોમાં બોલિંગ કરી શકે છે. અમારી પાસે પુષ્કળ વિકલ્પો છે. પંડ્યા સંપૂર્ણ રીતે તૈયાર ન થાય ત્યાં સુધી તે બેટિંગ સાથે એક કે બે ઓવર ફેંકી શકે છે.