ભારતીય ક્રિકેટમાં મોટા ફેરફાર થવાના અણસાર જોવા મળી રહ્યાં છે. શક્ય છે કે કોહલી ભારતીય ટીમના એકલા કેપ્ટન ના રહે. બીસીસીઆઈ હવે અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટનની થિયરી પર કામ કરી રહ્યું છે. જો ખરેખર ભારતીય ક્રિકેટમાં ફેરફાર થાય તો રોહિત શર્મા વન-ડે અને ટી-20ના નવા કેપ્ટન બની શકે છે. જ્યારે કિંગ કોહલી ફક્ત ટેસ્ટ ટીમનુ સુકાન સંભાળશે.
ભારતીય ક્રિકેટમાં મોટા ફેરફાર થવાના અણસાર
વિરાટ કોહલી કેપ્ટન પદેથી હટે તેવી શક્યતા
રોહિત શર્મા વન-ડે અને ટી-20ના કેપ્ટન બનવાની પ્રબળ શક્યતા
વર્લ્ડ ટી-20 બાદ મળશે નવો કેપ્ટન!
દરેક ફોર્મેટમાં ભારતીય ટીમને લીડ કરી રહેલા 32 વર્ષીય વિરાટ ભારતના સફળ કેપ્ટનોમાંથી એક છે. પરંતુ હવે 34 વર્ષીય રોહિત શર્માની સાથે પોતાની જવાબદારીઓ શેર કરવાના છે. ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-20 બાદ રોહિત શર્માનો માર્ગ સ્પષ્ટ થઈ જશે. એક અગ્રગણ્ય વેબસાઈટ તરફથી આ માહિતી સામે આવી છે.
વિરાટ કોહલીએ છેલ્લાં કેટલાંક મહિનામાં રોહિત શર્મા અને ટીમના મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી ચર્ચા કરી છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં જ્યારે પેટરનિટી લીવ પર ચાલી રહેલા કેપ્ટન વિરાટની ગેરહાજરીમાં ભારતે ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીતી. ત્યારબાદ મીડિયા અને સોશિયલ મીડિયા પર આક્રમક માહોલ બન્યો હતો. સુત્રો મુજબ, સૌરવ ગાંગુલીની આગેવાનીવાળા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેજ કવાયત આરંભી દીધી છે.
વિરાટની બેટિંગ પર કેપ્ટનશિપનું દબાણ
ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપના દબાણને પગલે વિરાટની બેટિંગ પર અસર પડી રહ્યો છે. હવે તો રેકોર્ડ પણ ખાતરી આપી રહ્યાં છે. વિરાટ કોહલીને પણ એવુ લાગે છે કે તેમની તાલમેલવાળી બેટિંગને થોડો વધુ સમય અને ગતિ આપવાની જરૂર છે. આમ પણ 2022 અને 2023ની વચ્ચે ભારત બે વર્લ્ડ કપ (વન-ડે અને ટી-20) રમવાની છે, એવામાં આ જરૂરી બને છે. વન-ડે અને ટી-20માં કેપ્ટન તરીકે કેપ્ટન કોહલીનો વિનિંગ ટકાવારી રેટ 70.43 અને 67.44 ટકા છે, પરંતુ આ મેચોમાં ધોની માર્ગદર્શક તરીકે કોહલીની સાથે ઉભા રહેતા હતા.