સ્પોર્ટ્સ જગત માટે આ વર્ષ ખૂબ ખરાબ રહ્યું છે અને એમાં પણ ક્રિકેટને તો જોરદાર ઝટકો લાગ્યો છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે પણ આ વર્ષ ખૂબ ખરાબ રહ્યું.
વિરાટ કોહલીથી આ વર્ષે થઇ મોટી ચૂક
ત્રણ વાર શતક બનાવવાથી ચૂકી ગયા કોહલી
ટેસ્ટ મેચમાં અત્યાર સુધીની સૌથી કારમી હારનો સામનો કરવો પડ્યો
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ત્રણ વાર સેન્ચુરીની નજીક જઈને ચૂકી ગયા. આ સિવાય તેમણે પહેલી ડે-નાઈટ ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં 74 રન ફટકાર્યા અને કોહલીએ આ વર્ષ વનડેમાં પાંચ હાફ સેન્ચુરી તથા ટેસ્ટ અને ટી-20માં એક એક હાફ સેન્ચુરી ફટકારી છે. કોહલીએ આ વર્ષે પોતાના કરિયરમાં ઓછામાં ઓછા 12 વર્ષમાં પહેલીવાર કોઈ આંતરરાષ્ટ્રીય સેન્ચુરી ફટકાર્યા વગર વર્ષનું સમાપન કર્યું.
2008માં કોહલીએ ડેબ્યુ કર્યું હતું
કોહલીને વિશ્વનાં શ્રેષ્ઠ બેટ્સમેનમાં ગણવામાં આવે છે અને તેમણે વર્ષ 2009માં શ્રીલંકા સામે ઈડન ગાર્ડનમાં પહેલી સદી ફટકારી હતી. તે બાદ એક પણ વર્ષ એવો ન રહ્યો જેમાં કોહલીએ કમાલ ન કર્યો હોય, દર વર્ષે આ જ સિલસિલો યથાવત્ રહ્યો. નોંધનીય છે કે વર્ષ 2008માં કોહલીએ ડેબ્યુ કર્યું હતું પણ તે વર્ષમાં તેઓ સદી ફટકારવામાં અસફળ રહ્યા હતા.
કોરોનાકાળ પણ છે એક કારણ
નોંધનીય છે કે આ વર્ષે કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં રમતગમત બંધ હતા અને ખૂબ ઓછા સમય માટે જ ક્રિકેટની મેચનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોહલી સદી ન ફટકારી શક્યા તેમાં એક કારણ કોરોના વાયરસને પણ ગણી શકાય. આ વર્ષે કોરોના વાયરસના કારણે ભારતીય ટીમે માત્ર નવ જ વનડે મેચ રમી છે.
ઈતિહાસનો સૌથી ખરાબ સ્કોર
વર્ષ 2019માં સાત સેન્ચુરી અને 14 હાફ સેન્ચુરી ફટકારી જયારે વર્ષ 2018માં 11 સેન્ચુરી અને 9 હાફસેન્ચુરી ફટકારી હતી. પણ આ વર્ષે કોહલી એક પણ સેન્ચુરી ન ફટકારી શક્યા. નોંધનીય છે કે ભારતને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં 8 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમ 36 રન પર જ પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી.
નોંધનીય છે કે હવે કોહલી પોતાની પહેલી સંતાનના જન્મ પહેલા સ્વદેશ પાછા આવી રહ્યા છે. હવે તેમની ગેરહાજરીમાં ત્રણ ટેસ્ટ મેચમાં અજીન્ક્ય રહાણે ટીમની આગેવાની કરશે. કોહલીના જવાથી ટીમમાં બેટિંગ કમજોર થશે તેવું માનવામાં આવી રહ્યું છે.