ચેન્નાઈ ટેસ્ટનાં ત્રીજા દિવસે પણ ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો અને હવે તે બીજી ટેસ્ટની જીત તરફ પ્રયાણ કરી રહી છે. ભારતની જીતની ચર્ચા ચાલી રહી છે ત્યારે વિરાટની એમ્પાયર સાથેની તકરાર પણ ચર્ચામાં છે.
જો રુટને નોટ આઉટ આપતા ભડક્યો વિરાટ
થર્ડ એમ્પાયરે પણ જો રુટને નોટઆઉટ આપ્યો
વિરાટ કોહલીનાં વર્તન પર ગૌતમ ગંભીરે ટીપ્પણી કરી
ભારત જીતની ખૂબ નજીક
ચેન્નાઈ ટેસ્ટનો ત્રીજો દિવસ ભારતને નામ રહ્યો. હવે આ ટેસ્ટ જીતવા માટે ભારતને 7 વિકેટ ખેરવવી પડશે. ત્રીજા દિવસે વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિનની સુઝબુઝ વાળી બેટીંગને લીધે ભારત એક મજબૂત સ્થિતિમાં પહોંચી ગયુ હતું.
અશ્વિનની સદી મનોરંજક રહી
વિરાટ કોહલીએ 62 રનની ઈનિંગ રમી જ્યારે રવિચંદ્રન અશ્વિને વન-ડેનાં અંદાઝમાં મનોરંજક સદી ફટકારી હતી. અશ્વિનની સદીનાં સહારે ભારત ઈંગ્લેન્ડ સામે 482 રનની જંગી લીડ મેળવવામાં સફળ રહ્યું હતું.
ઈંગ્લેન્ડે સસ્તામાં 3 વિકેટ ગુમાવી
બીજી બાજુ ભારતની ઈનિંગ પૂરી થયા બાદ ઈંગ્લેન્ડની ટીમ ફરી એકવાર ઝઝૂમતી જોવા મળી હતી. ઈંગ્લેન્ડે ટૂંક સમયમાં પોતાની 3 વિકેટો ગુમાવી દીધી હતી. દિવસનાં અંત સુધીમાં ઈંગ્લેન્ડ મેચમાં ફસાતી જોવા મળી હતી. ત્યારે દિવસનાં અંતમાં વિરાટ કોહલી ખૂબ ગુસ્સામાં જોવા મળ્યો હતો. વિરાટ કોહલીનો પારો એટલો ચડેલો જોવા મળ્યો હતો કે તે એમ્પાયર સાથે તકરાર કરવા લાગ્યો.
વિરાટ કોહલીનાં ગુસ્સાનું કારણ એ હતુ કે, જો રુટ પર થર્ડ એમ્પાયરનાં નિર્ણય પર હતો. બીજી ઈનિંગ દરમિયાન અક્ષર પટેલનાં બોલ પર જો રુટ વિરુદ્ધ કેચની અપીલ થઈ. એમ્પાયર દ્વારા નોટઆઉટ આપ્યા બાદ વિરાટ કોહલીએ ડીઆરએસનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ થર્ડ એમ્પાયરે રિપ્લેમાં જાણ્યુ કે બોલ રુટનાં બેટને અડ્યુ નથી. બાદમાં એમ્પાયરે એલબીડબલ્યુની તપાસ કરી તો રુટ આઉટ થવા પર ખૂબ નજીક જોવા મળ્યો. જોકે થર્ડ એમ્પાયરે ગ્રાઉન્ડ એમ્પાયરનો નિર્ણય ફાઇનલ રાખીને જો રુટને નોટ આઉટ આપ્યો.
વિરાટનાં વર્તન પર ગૌતમ નારાજ
જો રુટને નોટઆઉટ આપવા પર વિરાટ કોહલી ખૂબ નારાજ થયો અને તે એમ્પાયરની પાસે જઈને તકરાર કરવા લાગ્યો. જે વાતચીત લગભગ 30-40 સેકન્ડ સુધી ચાલી. વિરાટ કોહલીનાં એમ્પાયર પર ગુસ્સા થવાને લીધે કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ખૂબ નિરાશ થયા. તેમણે વિરાટ ને ખોટો ઠરાવતા કહ્યું કે, જ્યારે થર્ડ એમ્પાયરે નિર્ણય આપી દીધો છે તો ગ્રાઉન્ડ એમ્પાયર સાથે તકરાર કરવાની કોઈ ફાયદો નથી.