યુપીના અયોધ્યા જિલ્લાના બીકપુર તાલુકાની એક સ્કૂલમાં બાળકોને બપોરના મધ્યાહન ભોજનમાં ચોખા અને મીઠું આપવાની ઘટના બની છે. બાળકોને ચોખા અને મીઠાનું ભોજન આપવામાં આવી રહ્યું હોવાની ખબર મળતાં વાલીઓ સ્કૂલમાં દોડી આવ્યાં હતા અને હોબાળો કરવા લાગ્યા હતા. આ દરમિયાન એક વાલીએ મોબાઈલથી વીડિયો શૂટ કરી લીધો હતો જે વાયરલ થયો હતો.
રાંધેલું માનીને કાચા ચોખા અને મીઠું ખાવા લાગ્યા બાળકો
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકો જમીન પર પાથરેલા એક કોથળા પર બેઠા છે અને તેમના હાથમાં ડીસ છે પરંતુ ડીસમાં રાંધેલા ભોજનને બદલે કાચા ચોખા અને મીઠું જોવા મળતું હતું. બાળકોને તો એમ કે રાંધેલું છે એટલે તેઓ ખાવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જિલ્લા કલેક્ટરને આચાર્યને સસ્પેન્ડ કરી દીધા હતા અને ઘટનાની તપાસના આદેશ આપ્યો હતો.
મધ્યાહ્ન ભોજનમાં દૂધ, રોટલી, દાળ, શાકભાજી અને ભાત આપવાની જોગવાઈ
આ ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં, એક વ્યક્તિ (જેનો ચહેરો કેમેરામાં દેખાતો નથી) એમ કહેતા સાંભળી શકાય છે, "શિક્ષક અને પ્રધાન (ગામના વડા) એ જવાબદારી લેવાની ના પાડી દીધી છે, તો પછી જવાબદાર કોણ છે. તમે જોઈ શકો છો કે આ બાળકો ચોખા અને મીઠું ખાઈ રહ્યા છે. કોણ તેમના બાળકોને આવી શાળામાં મોકલવા માંગશે? યોગી બાબા (સીએમ યોગી આદિત્યનાથ)એ આ વીડિયો જોવો જોઈએ. ત્યારબાદ કેમેરામાં મધ્યાહ્ન ભોજનનું મેનુ દિવાલ પર દોરેલું દેખાય છે, જેના પર દૂધ, રોટલી, દાળ, શાકભાજી અને ચોખા લખેલા છે. પછી એ માણસ કહે છે, "આ મેનુમાં ચોખા અને મીઠાનો ઉલ્લેખ ક્યાં છે?