દિવઃ રોટી કપડાં અને મકાન બાદ હવે વાહનો પણ પ્રાથમિક જરૂરીયાત પણ બની ગઈ છે. તો ગીર સોમનાથના ઉના તાલુકામાં પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને પહોંચી વળવા કેટલાંક લોકોએ શોર્ટકટ પણ શોધી કાઢ્યો છે. ઉનાથી 10 કિ.મી. આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં આ ભાવમાં તફાવત હોવાથી સ્થાનિક લોકો પેટ્રોલ-ડિઝલ લાવીને ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યાં છે. આ બેરોકટોક ચાલતી હેરાફેરીનો VTVએ પર્દાફાશ કર્યો છે.
દિવમાં વેચાતા પેટ્રોલ-ડિઝલમાં ચારથી પાંચ રૂપિયાનો તફાવત
ગીર સોમનાથના ઉના તાલુકાથી માત્ર 10 કિ.મી. દૂર આવેલા કેદ્રશાસિત પ્રદેશ દિવમાં અન્ય રાજ્ય કરતા વેટના તફાવતના કારણે પેટ્રોલ-ડિઝલના ભાવમાં તફાવત છે. ગુજરાત કરતા દિવમાં વેચાતા પેટ્રોલ-ડિઝલમાં ચારથી પાંચ રૂપિયાનો તફાવત જોવા મળે છે. જેથી ઉના તાલુકાના લોકો દિવથી ગેરકાયદેસર પેટ્રોલ-ડિઝલનો મોટો જથ્થો લાવી તેનું ખુલ્લેઆમ વેચાણ કરે છે. ચેકપોસ્ટ પરથી લવાતા આ ગેરકાયેદસર જથ્થાની બિન્દાસ્ત હેરાફેરી ચાલે છે અને એ પણ ચેકપોસ્ટના અધિકારીઓની મીલિભગતથી. આ બાબતે પેટ્રોલપંપના માલિકો દ્વારા સંબંધિત તંત્રને લેખિતમાં જાણ કરવામાં આવી છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
સસ્તાભાવે મળતું હોવાથી લોકો આ ઇંધણ ખરીદવા મજબૂર
સરકાર દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાં માછીમારોને ડીઝલ ઉપર વેટમાંથી 100 ટકા મુક્તિ આપવામાં આવી છે. જ્યારે ગુજરાતના માછીમારોને આ લાભથી વંચિત રાખવામાં આવતા રોષ સામે આવ્યો છે. દિવમાં મળતું પેટ્રોલ ડિઝલ સસ્તાભાવે મળતું હોવાથી લોકો પણ ગેરકાયદેસર રીતે આ ઇંધણ ખરીદવા મજબૂર બન્યા છે. સરકારના આવા દવલા વર્તનથી પેટ્રોલપંપના માલિકો પણ નાખુશ છે. તો આ ગેરકાયદેસર વેચાણ અંગે તપાસની વાત તો દૂર અધિકારીઓ ખુદ અજાણ હોવાની વાત કરી રહ્યાં છે.
તેના વેચાણ અંગે નિયમો નક્કી કરાયા નથી
બીજી તરફ ગામડાઓમાં ખુલ્લેઆમ વેચાણ થતાં તેના વેચાણના નિયમોને પણ નેવે મૂકવામાં આવ્યા છે. આવા ગેરકાયદે ચાલતા વેચાણ પર રોક લગાવે એવા સરકારી અધિકારીઓ સરકાર પાસે છે ખરા કે નહીં એ પણ એક સવાલ છે. તો બીજ તરફ બાયો ડિઝલ એક સરળ રસ્તો માનવામાં આવી રહ્યો છે પણ તેના વેચાણ અંગે નિયમો નક્કી કરાયા નથી. બાયો ડિઝલને પ્રાધાન્ય આપવાના બદલે ખાતાકીય દ્વારા વારંવાર હેરાન કરવામાં આવે છે. તેના વેચણના નિયમો ખુલ્લા મૂકવામાં આવે તો બોય ડિઝલ હાલના સમયમાં સારો એવો પર્યાય સાબિત થઈ શકે છે.
ગુજરાતના પેટ્રોલપંપને માર પડી રહ્યો છે
નવાઈની વાત છે કે દિવથી પેટ્રોલ અને ડિઝલની આવી રીતે થતી હેરાફેરી અંગે હજુ પણ અધિકારીઓ અજાણ છે. બીજી તરફ ઉનામાં ઠેર ઠેર ખુલ્લેઆમ ગેરકાયદે તેનુ વેચાણ થયા છે અને ગુજરાતના પેટ્રોલપંપને માર પડી રહ્યો છે. પેટ્રોલપંપના માલિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંક ખૂલતી નથી. ત્યારે સવાલ ઉભો થાય છે કે આ ગેરાકાયદે હેરાફેરી ક્યારે બંધ થશે. અને માછીમારોને આપવામાં આવેલી છૂટછાટનો દુરઉપયોગ કરતા વચેટિયાઓ પર ક્યારે રોક લાગશે.