બોર્ડની પરીક્ષાના માહોલમાં એક જાદૂઈ પેનનો મેસેજ વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે આ જાદૂઈ પેનથી બાળકો બોર્ડની પરીક્ષા આપશે તો 100 ટકા પાસ થઈ જશે. દાવો છે કે એક બાબા આ પેનની મંત્રીત કરી દેશે. ત્યાર બાદ આ પેનથી પરીક્ષા આપતા સારું રીઝલ્ટ મળશે. ત્યારે શું છે વાયરલ થઈ રહેલા આ મેસેજની હકીકત...
શું એક મંત્રિત પેન બોર્ડની પરીક્ષા પાસ કરાવી દેશે?
બોર્ડની પરીક્ષા શરૂ થવાની સાથે વિદ્યાર્થીઓના મહેનતની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવે. ત્યારે સારા માર્ક્સ મેળવવા માટે દરેક વિદ્યાર્થી મહેનત પણ કરે છે. પરંતુ સવાલ એ છે કે શું મહેનત વિના પણ બોર્ડની પરીક્ષા પાસ કરી શકાય છે? આ સવાલ સાંભળીને તમને આશ્ચર્ય થશે. પરંતુ સોશિયલ મીડિયામાં એક મેસેજમાં આ દાવો કરવામાં આવ્યો છે. દાવો છે કે એક બાબા મંત્રીત કરેલી પેન આપી રહ્યા છે. જે પેનથી પરીક્ષા આપતા તમારું બાળક 100 ટકા ગેરંટી સાથે પાસ થઈ જશે.
100 ટકા ગેરંટી બાળક ફેલ થાય તો રૂપિયા પાછા દુષ્યંત બાપજી....!
વાયરલ મેસેજમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે શું તમે તમારા બાળકને પરીક્ષામાં પાસ કરાવવા ઈચ્છો છો? શું તમે તમારા બાળકના અભ્યાસનું વર્ષ ન બગડે તે માટે ચિંતિત છો? તમારું બાળક SSC HSC અને કોલેજની પરીક્ષામાં પાસ થાય એવું ઈચ્છો છો? તો આ માટે દુષ્યંત બાપજીએ સિદ્ધ કરેલી પેન તૈયાર કરી છે. પેનસેટની કિંમત રૂ.1900 છે. આ મેસેજમાં સૌથી ઉપર લખવામાં આવ્યું છે. 100 ટકા ગેરંટી નીચે પેનસેટની કિંમત રૂપિયા 1900 લખ્યું છે.
તેમજ નોંધ લખવામાં આવી છે. જો બાળક ફેલ થાય તો પૂરેપૂરી રકમ રૂપિયા 1900 પરત આપવામાં આવશે. નોંધની નીચે પેનસેટ મેળવવા સંપર્ક માટે દુષ્યંત બાપજીને મળવાની વાત કહી છે. અને એક તસવીર પણ જોવા મળી રહી છે. આ મેસેજ વાંચ્યા બાદ ઘણા લોકો આ પેન લેવાનું વિચારતા હશે. તેમજ આ ઓફર રૂપિયા પાછા આપવાની પણ વાત કરી છે માટે કોઈને જોખમ લાગી રહ્યું નથી. આજના જમાનામાં કોણ એવું ઈચ્છે કે પોતાનું બાળક ફેલ થાય.
શું વાસ્તવમાં આવી કોઈ મંત્રિત પેન મળી રહી છે?
વાયરલ મેસેજ આગની જેમ સોશિયલ મીડિયામાં ફેલાઈ રહ્યો છે. ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે વાસ્તવમાં કોઈ મંત્રિત પેન હોઈ શકે. મંત્રિ પેનથી પરીક્ષા આપતા સારું પરિણામ લાવી શકાય. પરંતુ વાસ્તવમાં આ વાયરલ મેસેજનો દાવો સાચો છે કે ખોટો? અમારા મનમાં સવાલ થઈ રહ્યો હતો કે શું વાસ્તવમાં આવી કોઈ મંત્રિત પેન મળી રહી છે? કોણ છે દુષ્યંત બાપજી? શા માટે હમણા આ મેસેજ વાયરલ થયો છે? શું આ પેનથી લોકોને ઠગવામાં આવે છે? વાયરલ મેસેજ તમને પણ મળ્યો હશે. તમને પણ આ સવાલ જરૂરથી થયો જ હશે. પરંતુ VIRAL TURTHની ટીમે વાયરલ મેસેજની તપાસ હાથ ધરી. વાયરલ મેસેજના સરનામે જઈને તપાસ કરી જોઈ કે વાસ્તવમાં આવી કોઈ પેન મળી રહી છે કે નહીં?
કોણ છે દુષ્યંત બાપજી?
વાયરલ મેસેજની પડતાલ અમારા સંવાદદાતાએ હાથ ધરી. એ સ્થળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો કે જ્યાં આ મંત્રિત પેન આપવાનો દાવો થઈ રહ્યો હતો.
બોર્ડની પરીક્ષાના માહોલમાં જ્યારે બાળકો પાસ થવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હોય ત્યારે વગર મહેનતે પરીક્ષા પાસ કરાવી દે તેવી કઈ પેન હોઈ શકે. તેની તપાસ અમારા વડોદરાના સંવાદદાતા હાથ ધરી હતી. દુષ્યંત બાપજીના સ્થળ પર જઈને મુલાકાત કરી. અહીં અમને દિવાલો પર દુષ્યંત બાપજી કથાકાર એવું લખેલું જોવા મળ્યું હતું. જે પરથી અંદાજ આવતો હતો કે આ દુષ્યંત બાપજી કથાકાર હોઈ શકે છે. જોકે તે સમયે દુષ્યંત બાપજી તો ન મળ્યા. પરંતુ તેમનો સંપર્ક કરવાનો અમારા સંવાદદાતાએ પ્રયાસ કર્યો. તેમજ વાયરલ મેસેજ વિશે વાત કરતા દુષ્યંત બાપજીએ આવી કોઈ મળી રહી ન હોવાનો દાવો કર્યો હતો.
તેમની પાસે રૂ.1900ની કિંમતવાળી કોઈ પેન નથી
તો હવે સમય થઈ ગયો છે વાયરલ મેસેજની પોલ ખોલવાનો. અમને જે હકીકત જાણવા મળી તે કંઈક આ પ્રમાણે હતી. હાલ દુષ્યંત બાપજી કોઈ મંત્રિત પેન આપી રહ્યા નથી. તેમની પાસે રૂપિયા 1900ની કિંમતવાળી કોઈ પેન નથી. જોકે સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા અમને વધુ એક હકીકત જાણવા મળી હતી. જેમાં આ મંત્રિત પેનનો પર્દાફાશ થયો હતો. અગાઉ આવો જ એક મેસેજ વાયરલ થયો હતો. જેમાં દુષ્યંત બાપજીની પોલ ખુલી ગઈ હતી. મીડિયામાં અહેવાલ આવતા આ મંત્રિત પેનની દુકાન બંધ છે. માટે કોઈએ આવી અંધશ્રદ્ધામાં ફસાવાની જરૂરી નથી. માટે આવી કોઈ મંત્રિત પેનના ચક્કરમાં ફસાવાની જરૂર નથી. તમારી મહેનત એજ તમારી સફળતાની ચાવી છે.
વાયરલ મેસેજ ખોટો છે... માટે કોઈએ આવી અંધશ્રદ્ધામાં ફસાવાની જરૂરી નથી
આમ વીટીવીની પડતાલમાં વાયરલ મેસેજ ખોટો સાબિત થયો છે. આ મેસેજ અગાઉ પણ વાયરલ થયો હતો. ઘણા વાલીઓ આવી પેન લેવા માટે પહોંચી પણ ગયા હતા. જે બાદ તેમને નિરાશા જ મળી હતી. માટે કોઈએ પણ આવી અંધ્ધશ્રદ્ધાનો શિકાર બનાવી જરૂર નથી. તમારું બાળક જેટલી મહેનત કરશે એટલું ફળ તેને જરૂરથી મળશે.
બાળકની માનસિકતા પણ એવી જ હોવી જોઈએ કે સફળતા તો જાત મહેનતથી જ મેળવીશું. નહીંતર જિંદગીમાં જે લોકો શોર્ટ કટ શોધવા જાય છે પછી તેમની સફળતા પણ શોર્ટ કટમાં જ સમેટાઈ જાય છે. આગળ હાથમાં કશું રહેતું નથી. બોર્ડની પરીક્ષાના માહોલમાં કોઈ ખોટા માર્ગે ન દોરાઈ જાય એ હેતુથી અમે આ મેસેજની પડતાલ હાથ ધરી. અને આપના સુધી સાચી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અમે આશા રાખીએ છીએ કે આવી કોઈ મંત્રિત પેનની માયાજાળમાં કોઈ નાગરિક ન ફસાય.