કોરોનાની ભયંકર લહેરનો સામનો કરી, હજુ તો લોકો તેમાંથી બહાર આવી રહ્યા છે ત્યારે હવે તેવા જ લક્ષણ ધરાવતો અન્ય એક રોગ વકરી રહ્યો છે અને તે છે વરસાદી રોગચાળો. વરસાદ બાદ ઠેર-ઠેર ભરાતા પાણી તેમજ ગંદકી અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે હવે લોકો વાયરલ તાવનો ભોગ બની રહ્યા છે.
રાજકોટમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો
શહેરમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં વધારો
સિવિલ હોસ્પિટલમાં OPDમાં લોકોની લાઈનો લાગી
કોરોના તો નથી ને?
શરદી ઉધરસ અને તાવ એ કોરોનાનું પ્રાથમિક લક્ષણ છે ત્યારે તેવું જ લક્ષણ આ વરસાદી રોગચાળાને લીધે દેખાતા લોકો ચિંતાતુર બન્યા છે. પણ ડૉક્ટરના જણાવ્યા અનુસાર પ્રાથમિક સારવારથી જો તાવમાં શરદીમાં ઘટાડો ન થાય તો એક વખત કોરોનાનો એન્ટિજન ટેસ્ટ કરવો જોઈએ જેથી વાયરલ તાવ છે કે કોરોના તેને જાણી શકાય. પરંતું હાલ વરસાદ બાદ જે કોઈને પણ કોરોના જેવા લક્ષણ દેખાઈ રહ્યા છે તેમાંથી મોટાભાગના લોકોને વાયરલ તાવ હોવાનું સામે આવ્યું છે. સાથે ડેન્ગ્યુ, મલેરિયા, મરડો, ટાઈફૉઈડ જેવા રોગો પણ વકરી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલની OPDમાં લાઈનો
રાજકોટ શહેરમાં અચાનક જ વરસાદ બાદ વકરેલા રોગચાળાને લીધે સરકારી હોસ્પિટલ એટલે કે સિવિલના OPDમાં લાંબી કતારો જોવા મળી રહી છે. હોસ્પિટલની કેસબારી પાસે પણ લાંબી લાઈનો લાગી ગઈ છે.
રોગચાળો કેમ વધ્યો?
ઉભરાતી ગટરો અને પાણીનો ભરાવો
પાણીજન્ય મચ્છરોનો ઉપદ્રવ વધ્યો
વાતાવરણમાં અચાનક પલટો પણ એક કારણ
ફૂડ શાખા દ્વારા વારવાર થતા ચેકીગનો અભાવ
કોર્પોરેશન દ્વારા દવાના છંટકાવમાં ધાંધીયા
કોરોના કેસ પર નજર કરીએ તો..
રાજ્યમાં બીજા દિવસે 30થી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 27 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં રિક્વરી રેટ 98.75 ટકા રહ્યો છે. જ્યારે સતત 11મા દિવસે એક પણ મોત નોંધાયું નથી. રાજ્યના 4 કોર્પોરેશન અને 12 જિલ્લામાં જ નવા કેસ નોંધાયા છે.