પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ બાદ આખા દેશમાં હિંસાના અહેવાલ સામે આવી રહ્યા છે
પીએમ મોદીના પ્રવાસના કારણે બાંગ્લાદેશમાં ભયંકર હિંસા
અમુક સંગઠનો દ્વારા કરવામાં આવ્યો વિરોધ
પોલીસ સાથે ઝડપમાં કેટલાકના મોતની પુષ્ટિ
એક હિન્દુ મંદિર અને ટ્રેન પર પણ હુમલાના સમાચાર
હિંસામાં કેટલાકના મોત : રોયટર્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પૂર્ણ થતાંની સાથે જ બાંગ્લાદેશમાં ભયંકર હિંસા થઈ છે. હિન્દુ મંદિરો પર હુમલા કરવામાં આવ્યા અને કેટલાય લોકોને પણ નિશાને લેવામાં આવ્યા છે. રોયટર્સની રિપોર્ટમાં સામે આવ્યું છે કે પીએમ મોદીનો પ્રવાસ પૂર્ણ થયા બાદથી જ આ હિંસા શરૂ થઈ છે અને પીએમ મોદી જ્યારે બાંગ્લાદેશમાં હતા ત્યારે પણ ભયંકર હિંસા થઈ હતી.
કેમ થઈ રહ્યો છે વિરોધ?
પીએમ મોદી સામે થઈ રહેલા હિંસક પ્રદર્શનમાં 10 લોકોના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે. વિરોધ કરી રહેલા કટ્ટરપંથીઑ કહી રહ્યા છે કે પીએમ મોદી લઘુમતીઓ સાથે ભેદભાવ કરે છે.
પીએમ મોદી બાંગ્લાદેશમાં હતા ત્યારે પણ વિરોધ થયો હતો
નોંધનીય છે કે શુક્રવારે પણ જ્યારે પીએમ મોદી બાંગ્લાદેશમાં જ હતા ત્યારે ચટગાંવ અને ઢાકામાં હજારો લોકો રસ્તા પર આવી ગયા હતા. હિંસક પ્રદર્શન કરવામાં આવ્યા અને પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ઘણા ગ્રુપ દ્વારા તો ટ્રેન પર પણ હુમલા કરવામાં આવ્યા હતા. આ હિંસક પ્રદર્શનોમાં કેટલાકના મોતની પણ પુષ્ટિ થઈ હતી.
કેમ બાંગ્લાદેશના પ્રવાસ પર હતા પીએમ મોદી
બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તે જશ્નમાં સામેલ થવા માટે પીએમ મોદી બાંગ્લાદેશના પ્રવાસ પર હતા. પીએમ મોદીએ બાંગ્લાદેશને 12 લાખ વેક્સિનના ડોઝ ભેટ પણ આપી છે. આ સિવાય તેમણે મતુઆ સમુદાયના પ્રાચીન મંદિરમાં દર્શન પણ કર્યા હતા.