પ.બંગાળમાં પણ નાગરિકતા બિલનો વિરોધ જોવા મળી રહ્યો છે. શનિવારે રાજ્યના મુર્શિદાબાદ જિલ્લાના લાલગોલા રેલવે સ્ટેશન પર 5 ખાલી ટ્રેનોમાં આગ લગાવી દેવાઇ. પ્રદર્શનકારીઓએ રાજ્યના અલગ-અલગ માર્ગ વ્યવહારને ખોરવ્યો અને રેલવે સેવાઓને પણ પ્રભાવિત કરી. નોંધનીય છે કે, આ બિલના વિરોધમાં પૂર્વોત્તર ભારત અને ખાસ કરીને આસામમાં હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં પણ નાગરિકતા બિલને લઇને હિંસક વિરોધ પ્રદર્શન
મુર્શિદાબાદમાં રેલવે સ્ટેશન પર 5 ખાલી ટ્રેનોમાં આગ લગાવામાં આવી
હિંસક દેખાવકારોએ લગભગ 15 બસો સળગાવી દીધી
આસામમાં કરફ્યૂમાં રોડ પર ઉતરેલા પ્રદર્શનકારીઓ પર પોલીસની ફાયરિંગમાં બે લોકોના મોત થઇ ચૂક્યા છે. જોકે, પૂર્વોત્તર ભારતના મોટા ભાગમાં પ્રતિબંધોમાં ઢીલ બાદ સ્થિતિ શાંતિપૂર્ણ રહી.
નોંધનીય છે કે, નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ સતત બીજા દિવસે શનિવારે પણ પ.બંગાળના ઘણા ભાગોમાં હિંસક પ્રદર્શન થયા. ઘણી બસો અને એક રેલવે સ્ટેશન પાસે આગની ઘટના બની છે. પોલીસે જણાવ્યું કે મુર્શિદાબાદ અને ઉત્તરી 24 પરગના જિલ્લા તથા હાવડા (ગ્રામીણ)થી હિંસાના સમાચાર મળ્યા છે.
આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હિંસક પ્રદર્શન અને તોડફોડ કરનાર દેખાવકારો વિરુદ્ધ કડક પગલા ભરવાની ચેતવણી આપી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, હિંસક દેખાવકારોએ લગભગ 15 બસોને આગના હવાલાએ કરી દીધી, જેમા સાર્વજનિકની સાથે-સાથે ખાનગી બસો પણ સામેલ છે. તેઓએ નેશનલ હાઇવે-6 (મુંબઇ રોડ) અને નેશનલ હાઇવે-2 (દિલ્હી રોડ)ને કોલકાતા સાથે જોડનાર કોના એક્સપ્રેસ પર હાવડામાં વાહન વ્યવહાર અટકાવી દીધો હતો.
રેલવેના ક્ષેત્રીય પ્રવક્તા સંજય ઘોષે જણાવ્યું કે, દક્ષિણ પૂર્વી રેલવેના હાવડા-ખડગપુર ખંડ પર સવારે 11 વાગ્યાથી ટ્રેન સેવાઓ ઠપ રહી, કેમકે પ્રદર્શનકારી સાંકરીલ, નાલપુર, મોરીગ્રામ અને બકરનવાબાજ સ્ટેશનો પર પાટા પર બેસી ગયા.
રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, 8 એક્સપ્રેસ ટ્રેનો સહિત 20 ટ્રેન દક્ષિણ પૂર્વ ઝોનમાં અલગ-અલગ સ્ટેશનો પર રોકવામાં આવી. આ ક્ષેત્રની કેટલીક ટ્રેનો પણ રોકવામાં આવી છે. રદ્દ કરવામાં આવેલી ટ્રેનોમાં લાંબા અંતરની ટ્રેનો પણ સામેલ છે. જેમા 12222 હાવડા-પૂણે દુરંતો એક્સપ્રેસ, 120889 હાવડા-તિરુપતી હમસફર એક્સપ્રેસ, 22877 હાવડા એર્નાકુલમ અંત્યોદય એક્સપ્રેસ અને 12860 હાવડા-સીએસએમટી ગીતાંજલિ એક્સપ્રેસ સામેલ છે. 12245 હાવડા-યશવંતપુર દુરંતો એક્સપ્રેસ પણ રદ્દ કરાઇ છે.