ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઇને વિરોધ-પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. લખનઉના ઘણા વિસ્તારોમાં હિંસા ફેલાઇ ગઇ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન બે પોલીસ ચોકી પણ સળગાવી દેવાઇ છે. જ્યારે બહાર ઉભા વાહનોને સળગાવી દેવાયા છે.
લખનઉમાં નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિરોધ-પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું
UPના સંભલમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ બાદ ઇન્ટરનેટ બંધ કરી દેવાયું
વિરોધ પ્રદર્શન દરમિયાન બે પોલીસ ચોકી પણ સળગાવી દેવાઇ
પ્રદર્શનકારીઓએ લખનઉના ડાલીગંજ વિસ્તારમાં પણ હિંસક દેખાવો કર્યા છે. વિસ્તારમાં તોડફોડ અને પથ્થરમારો થયો. ભીડને વિખેરવા માટે પોલીસને ટિયર ગેસના શેલ છોડવા પડ્યા. બીજી તરફ, પશ્ચિમ ઉત્તર પ્રદેશના સંભલમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ બાદ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું.
લખનઉના ડાલીગંજ વિસ્તારમાં નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શનકારીઓએ પથ્થરમારો અને તોડફોડ કરી. હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન ઠાકુરગંજમાં ફાયરિંગ પણ થઇ છે. જોકે, તેમા કોઇપણ પ્રકારનું નુકશાન નથી થયું. પ્રદર્શન દરમિયાન બે પોલીસ ચોકીને પણ નિશાન બનાવવામાં આવ્યા.
નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) વિરુદ્ધ દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. આજે ફરી એક વાર દેશના અનેક વિસ્તારમાં વિરોધ પ્રદર્શન જારી રહેશે. ડાબેરી પક્ષોએ આજે ‘ભારત બંધ’નું એલાન આપ્યું છે. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દેશના ઘણા વિસ્તારમાં કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. દિલ્હી, કર્ણાટક, ઉત્તર પ્રદેશમાં અનેક દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે. બેંગલુરુમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહાની પણ ધરપકડ કરાઈ હતી.
બિહારના સરાયમાં ટ્રેન રોકવામાં આવી
દરમિયાન બિહારના દરભંગામાં આજે સવારે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં જારી પ્રદર્શન દરમિયાન ડાબેરી પક્ષોના કાર્યકરોએ ટ્રેન રોકતાં ચકચાર મચી ગઈ હતી. સીપીઆઈ (એમએલ)ના કાર્યકરોએ દરભંગાના લહેરિયા સરાયમાં ટ્રેન રોકી હતી. પ્રદર્શનકારીઓએ સરકાર વિરોધી નારા પણ લગાવ્યા હતા. આરા અને જહાનાબાદમાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં હોવાના સમાચાર મળી રહ્યા છે. બિહારની રાજધાની પટણામાં પણ એઆઈએસએફ (ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન)ના કાર્યકરોએ રાજેન્દ્રનગર રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી લીધી છે.
આજે દેશભરમાં યોજાનારાં વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન કેન્દ્ર સરકારે ફરી એક વાર ખાતરી આપી છે કે આ કાયદાથી ભારતમાં કોઈની પણ નાગરિકતાને કોઈ ખતરો નથી.
દિલ્હીના બે વિસ્તારોમાં કલમ-૧૪૪ લાગુ: ૧૪ મેટ્રો સ્ટેશન બંધ
આજના ઉગ્ર વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીના લાલ કિલ્લા વિસ્તાર, ઉત્તર-પૂર્વ જિલ્લામાં કલમ-૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ દરમિયાન ચારથી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. આ ઉપરાંત દિલ્હીમાં નાગરિકતા કાયદાના વિરોધને ધ્યાનમાં રાખીને ૧૪ મેટ્રો સ્ટેશન બંધ કરાયા છે. આ સ્ટેશનો પર એન્ટ્રી-એક્ઝિટ બંધ કરી દેવામાં આવી છે.
દિલ્હીમાં સાવચેતીના પગલારૂપે પટેલ ચોક, લોકકલ્યાણ માર્ગ, ઉદ્યોગભવન, આઇટીઓ, પ્રગતિ મેદાન, ખાન માર્કેટ, લાલ કિલ્લા, જામા મસ્જિદ, ચાંદની ચોક, જામિયા મિલિયા ઇસ્લામિયા, જસોલા વિહાર, શાહીન બાગ અને મુનીરકા મેટ્રો સ્ટેશનોને બંધ કરવામાં આવ્યા છે. દિલ્હી મેટ્રો રેલના અધિકારીઓએ કહ્યું છે કે, આ સ્ટેશનો પર મેટ્રો રોકાશે નહીં. દિલ્હી ઉપરાંત મુંબઈ અને ચેન્નઈમાં પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે અને પોલીસને સતત એલર્ટ રહેવાના આદેશ અપાયા છે.