આપણી રક્ષા કાજે દિવસ-રાત જોયા વિના સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલા થઈ રહ્યા છે અને આ બધી હિંસા આખરે શા માટે? નાગરિકતા કાયદાનો વિરોધ કરવા જ? કે પાછળથી જેના ભણકારા વાગી રહ્યા છે તે એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનને અટકાવવવા? હિંસા પાછળનાં કારણો ગમે તેટલાં મજબૂત કેમ ન હોય, તંદુરસ્ત લોકશાહીમાં તે ક્યારેય સ્વીકાર્ય હોઈ જ ના શકે અને આ મુદ્દે કોઈ ચર્ચા કે દલીલને સ્થાન નથી જ.
કોઈ એક બિલ પસાર કરાવે અને તેનો નવા કાયદાના રૂપે અમલ થાય તેમાં ‘સરમુખત્યારશાહી’ ક્યાંથી આવી ગઈ?
ઈતિહાસ સાક્ષી છે કે હિંસાના રસ્તે ચાલીને ક્યારેય કોઈ ક્રાંતિ નથી થઈ શકી
હિંસક ઘટનાઓને વખોડી કાઢવાના બદલે કથિત સેક્યુલર અને બૌદ્ધિક લોકોનું મૌન પણ આ હિંસા જેટલું જ ખતરનાક છે
ન્યાયતંત્ર મહદંશે ભ્રષ્ટાચારથી દૂર જ રહ્યું છે તો થોડો વિશ્વાસ તેના પર પણ રાખો
દેશની જનતાએ જેમને સ્પષ્ટ બહુમતી આપી છે તે સરકાર રાજ્યસભા અને લોકસભામાં કોઈ એક બિલ પસાર કરાવે અને તેનો નવા કાયદાના રૂપે અમલ થાય તેમાં ‘સરમુખત્યારશાહી’ ક્યાંથી આવી ગઈ? ચાલો, માની લઈએ કે આ બિલ સામે તમને ભારોભાર વાંધો છે અને તમારે તેનો વિરોધ કરવો જ છે તો કોઈએ તમને બાંધી નથી રાખ્યા. વિરોધ કરો અને કરવો જ જોઈએ પણ શાંતિપૂર્ણ, ગાંધી ચિંધ્યા વિરોધ પ્રદર્શનના નામે શરૂ થયેલા દેખાવોને હિંસક શા માટે બનાવો છો?
એક વાત દરેકે યાદ રાખવી જોઈએ કે આપણા દેશના નાગરિકોને કોઈ પણ પક્ષ કોઈ એક કાયદો બનાવીને દેશમાંથી હાંકી કાઢવા સક્ષમ નથી જ. હજુ સુધી તો આપણા દેશનું ન્યાયતંત્ર મહદંશે ભ્રષ્ટાચારથી દૂર જ રહ્યું છે તો થોડો વિશ્વાસ તેના પર પણ રાખો. તમને સરકાર સામે, તેની નીતિઓ સામે વાંધો હોઈ શકે, એમાં કંઈ ખોટું પણ નથી. લોકશાહીમાં વિરોધ કરવાનો અબાધિત અધિકાર બધાંને મળેલો જ છે પણ આ અધિકારની આડમાં દેશની એકતા-ભાઈચારા કે સંપત્તિને નુકસાન પહોંચાડવાનો હક કોઈને નથી. સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા સંશોધન કાયદાને પડકારતી લગભગ પ૦થી વધુ અરજીઓ થઈ છે. દેશનું ન્યાયતંત્ર અને ત્યાં બેઠેલા જવાબદાર લોકો કોઈ સરકારને બંધારણથી વિરુદ્ધ જઈને મનફાવે તેવા કાયદા બનાવવાની મંજૂરી નથી જ આપવાના.
ભારતીય લોકશાહીમાં અસહમતી કે મતભેદ વ્યક્ત કરવાના રસ્તા કંઈ ઓછા નથી
ઈતિહાસ સાક્ષી છે કે હિંસાના રસ્તે ચાલીને ક્યારેય કોઈ ક્રાંતિ નથી થઈ શકી. સમાજમાં પરિવર્તન લાવવું હોય તો જે ખોટું છે તેની સામે અવાજ ઉઠાવવો જ જોઈએ પણ તેમાં હિંસાને સામેલ કરવાની કોઈ જરૂર નથી. આવા સમયે હિંસક ઘટનાઓને વખોડી કાઢવાના બદલે કથિત સેક્યુલર અને બૌદ્ધિક લોકોનું મૌન પણ આ હિંસા જેટલું જ ખતરનાક છે એ પણ યાદ રાખજો.
એક વાત તો આપણે બધાંએ સ્વીકરવી જ રહી કે નાગરિકતા કાયદો આપણી સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે, જે દેશની પ્રતિનિધિ સંસ્થા છે. તેની પાછળ સરકારની પોતાની વિચારધારા છે, જેની સાથે અસહમત થવાનો અધિકાર બધાંને છે. ભારતીય લોકશાહીમાં અસહમતી કે મતભેદ વ્યક્ત કરવાના રસ્તા કંઈ ઓછા નથી. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે, જેણે અગાઉ પણ ઘણા કાયદાને અટકાવ્યા અને તેમાં જરૂરી સુધારો કર્યો છે. આવી સ્થિતિમાં જો કોઈ એવી વાહિયાત દલીલ કરે કે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ માત્ર રસ્તા પર ઊતરીને જ કે હિંસક દેખાવો દ્વારા જ થઈ શકે તો તેની વાત આપણે સાંભળવી જ જોઈએ નહીં. પોલીસ દ્વારા ગમે તેટલી સાવચેતી લેવામાં આવે, સાવધાની રાખવામાં આવે તો પણ આવાં વિરોધ પ્રદર્શનોને હિંસક બનતાં લાંબો સમય લાગતો નથી અને આંદોલન કે દેખાવોનો મૂળ ઉદેશ માર્યો જાય છે.
અફવાઓનું આ સતત ગરમ રહેતું બજાર જ લોકોની હિંસક વૃત્તિને ‘કિક’ આપવાનું કામ કરે છે
વિરોધ પ્રદર્શન આટલાં હિંસક બન્યાં તેમાં સોશિયલ મીડિયા અને ખાસ કરીને આપણા સૌની ફેવરિટ એવી ‘વોટ્સએપ યુનિવર્સિટી’નો પણ બહુ મોટો હાથ છે. આપણે સમજ્યા કે વિચાર્યા વગર સોશિયલ મીડિયામાં ઠલવાતા હજારો મેસેજ તેનાં પરિણામોની ચિંતા કર્યા વિના જ ફોરવર્ડ કરવામાં માનીએ છીએ. અફવાઓનું આ સતત ગરમ રહેતું બજાર જ લોકોની હિંસક વૃત્તિને ‘કિક’ આપવાનું કામ કરે છે. એક વાત વિચારો, હજુ તો દેશના ટોચના બંધારણના નિષ્ણાતો અને કાયદાશાસ્ત્રીઓ પણ નાગરિકતા સંશોધન કાયદાનો અભ્યાસ કરીને તેને સમજી રહ્યા હતા ત્યાં જ સોશિયલ મીડિયા પર તેના વિશેની એવી એવી ભ્રામક વાતો ફેલાવા લાગી કે દરેક વ્યક્તિ માનવા લાગી કે તેની નાગરિકતા જોખમમાં છે.
હિંસક વિરોધ પ્રદર્શનથી મૂળ વાત સાવ ભુલાઈ જાય છે અને આંદોલન તેના સાચા રસ્તા પરથી ભટકી જાય છે. વિઘ્નસંતોષી લોકો હંમેશાં આવા એક મોકાની રાહમાં જ બેઠા હોય છે અને તેમણે આ વખતે પણ એ કામ જ કર્યું. પરિણામે સામાન્ય લોકો આ કાયદાનો વિરોધ કરનારા લોકોને શંકાની દૃષ્ટિએ જોવા લાગ્યા. આ આપણો બધાંનો દેશ છે અને તેને સલામત રાખવાની જવાબદારી પણ આપણા બધાંની જ છે. હંમેશાં દોષનો ટોપલો સરકાર કે સ્થિતિ પર ઢોળીને આપણે જવાબદારીથી હાથ ઊંચા કરી શકીએ નહીં. શાંતિ અને અહિંસાના રસ્તે થયેલાં ક્રાંતિકારી આંદોલનોથી આપણા દેશનો ઈતિહાસ ભરેલો છે. શાંત ચિત્તે આ તમામ મુદ્દા પર વિચાર કરવાની આપણે બધાંને જરૂર છે, નહીં તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.