દિલ્હીના જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય પરિસરમાં થોડા દિવસ પહેલાં બુકાનીધારીઓએ ઘૂસપેંઠ કરી હતી. અજાણ્યા શખ્સોના હાથમાં ડંડા અને લોખંડના રોડ પણ હતા. તેઓ અચાનક પરિસરમાં ઘૂસીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બેરહેમીથી મારવા લાગ્યા હતા, જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આવી જ એક ઘટના અમદાવાદમાં બનતાં રહી ગઈ છે. શહેરના લો ગાર્ડન પાસે આવેલ GLS કોલેજના કેમ્પસમાં ઘૂસીને કેટલાક બુકાનીધારી શખ્સોએ લાકડીના ડંડા વડે બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોલેજ કેમ્પસમાં બુકાનીધારીઓને જોઈ વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. આ અંગે રજિસ્ટ્રારે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
સેટેલાઈટના આઝાદ એપાર્ટમેન્ટમાં રહેતા અને નવરંગપુરા GLS કેમ્પસના રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ડો.ભાલચંદ્ર જોષીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
તા. ૭ જાન્યુઆરીના રોજ GLS કોલેજમાં સવારના અગિયાર વાગ્યાની આસપાસ કેટલાક અજાણ્યા શખ્સો મોઢા પર રૂમાલ બાંધી તેમજ લાકડીના ડંડા સાથે કોલેજ કેમ્પસમાં ગેરકાયદે ઘૂસીને બીભત્સ ગાળો બોલતાં બોલતાં કેમ્પસના પાછળના ગેટથી નીકળી ઇનોવા કારમાં બેસીને જતા રહ્યા હતા. ત્યારબાદ રજિસ્ટ્રારે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહત્ત્વની વાત તો એ છે કે બુકાનીધારીઓને કેમ્પસમાં લાકડીઓના ડંડા સાથે જોયા તો વિદ્યાર્થીઓ ગભરાઇ ગયા હતા અને આ અજાણ્યા શખ્સો કયા કારણસર કેમ્પસમાં ઘૂસ્યા હતા તેમજ તે કોણ હતા તે સ્પષ્ટ થઇ શક્યું ન હતું.