પશ્ચિમ યુપીમાં ગૌતસ્કરીનો વિવાદ હજુ શમ્યો નથી. અહીં ગૌતસ્કરીના વિવાદ બાદ સાંપ્રદાયિક તણાવની સ્થિતિ બની જાય છે. મેરઠ મુઝફ્ફરનગર શામલી સહારનપુર અને બાગપત સહિત અનેક વિસ્તારમાં માહોલ બગડવાનું ષડયંત્ર પણ થઈ ચૂકયું છે.
ગુપ્તચર વિભાગના ઈનપુટ અનેક વાર સામે આવ્યા છે. ગૌતસ્કરી મુદ્દા સહિત અનેક મુદ્દે હિંસા ફેલાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જેના પગલે પોલીસતંત્ર પણ એલર્ટ થયું છે.
તેમ છતા બુલંદશહેરમાં હિંસા થઈ. ગૌતસ્કરી જેવા મુદ્દે સાંપ્રદાયિક હિંસા ફેલાવવાનું ષડયંત્ર હોય એમ લાગે છે. 2019 લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ યુપીમાં પરિસ્થિતિ વણસી શકે છે. જેને લઈને ગુપ્તચર વિભાગે ઈનપુટ પણ મોકલ્યા છે.
મેરઠ મુઝફ્ફરનગર શામલી સહારનપુર સહિત અનેક જિલ્લામાં ગૌતસ્કરી મુદ્દે હિન્દુ સંગઠન અને અન્ય સમુદાયના લોકો આમને સામને આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રીતે હિંસા થઈ ચૂકી છે. ગોતસ્કરી મુદ્દે જલ્દી જ હિંસા ફેલાઇ જાય છે.
દાદરીમાં ઘરમાંથી ગૌમાંસ મળવાના શકમાં ઇખલાકની મારઝૂડથી હત્યા કરી નાંખવામાં આવી હતી. બુલંદશહેરની આગને લઇને નજીકમાં આવેલ નોઇડા જેવર અને દકોરમાં પોલીસ-પ્રસાશનને એલર્ટ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં થયેલી હિંસામાં એક પોલીસ ઈન્સપેક્ટર સુબોધકુમારનું મોત થયું હતું. મોત પહેલા સુબોધકુમારે હિંસક ભીડને કાબૂમાં લેવા ખૂબ પ્રયાસ કર્યા પણ આખરે તેઓ સફળ થયા નહીં અને તેમનો જીવ ગયો.
ત્યારે આ ખૂની ખેલ પાછળ અનેક સવાલો ઉભા થયા છે. સુબોધકુમારના મોત પાછળ દાદરી કનેક્શન જવાબદાર હોવાની પણ શંકા સેવાઈ રહી છે. કારણકે વર્ષ 2015માં ગ્રેટર નોઈડાના દાદરીમાં મોહમ્મદ અખલાકનું મોબ લિંચિંગમાં મોત થયું હતું.