જામનગરના ખીજડીયા બાયપાસ પાસે દ્વારકાના વીંજલપર ગામના સરપંચના પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
જામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકનો આપઘાત!
ખીજડીયા બાયપાસ પાસે આપઘાત
પ્રેમ પ્રકરણનો મામલો હોવાનું પોલીસનું અનુમાન
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે 23 વર્ષીય એક યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. આ મામલે તપાસ દરમિયાન મૃતદેહ દ્વારકા જિલ્લાના વિજલપર ગામના સરપંચના પુત્ર જય ડેરનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે અને મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું પોલીસ દ્વારા અનુમાન લગવાઈ રહ્યું છે.
પિતાની લાયસન્સ વાળી ગનમાંથી
જામનગર નજીકના ખીજડીયા બાયપાસ ધોરીમાર્ગથી લાલપુર બાયપાસ તરફ જતા રોડ પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના સરપંચના પુત્ર જય ડેરનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોતાની કારમાં લમણે ગોળી મારેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. 23 વર્ષીય પુત્ર જયએ પોતાના પિતાની લાયસન્સ વાળી ગનમાંથી ફાયરિંગ કરી જીવન ટૂંકાવી લીધૂ હતું. મૃતક યુવાને પોતાના ઘરે લોકરમાં રાખેલ પિતાનું લાઇસન્સ વાળું હથિયાર કાઢી જામનગરની ભાગોળે આવેલ ખીજડીયા બાયપાસ પહોંચ્યો હતો ત્યાં સમરસ હોસ્ટેલ સામેના રોડ પર કારમાં જ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. એકના એક પુત્રના અવિચારી પગલાંને લઈને પરીવાર શોકમાં ડૂબી ગયો છે.
પોલીસ તપાસનો ધમધમાટ
આ બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં યુવાને પ્રેમ પ્રકરણમાં પોતાના હાથે ગોળી છોડી આપઘાત કરી લીધો હોવાની આશંકા છે. જેથી પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.