અયોધ્યા કેસમાં સર્વોચ્ચ અદાલત ચુકાદો આપવાની તૈયારીમાં છે ત્યારે ભાજપ હવે મથુરા અને કાશીને અયોધ્યા જેવો મુદ્દો બનાવી દેવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા વિવાદ ભાજપ માટે ખુબ મોટો મુદ્દો રહ્યો છે. અયોધ્યા મુદ્દાને ભાજપ દર ચૂંટણીમાં ઉઠાવતું રહ્યું છે અને સફળ પણ થયું છે ત્યારે હવે ભાજપ અયોધ્યા બાદ મથુરા અને કાશીના મંદિરોના મુદ્દાને ઉઠાવે તેવા સંકેત ભાજપ નેતા વિનય કટીયારે આપ્યા છે.
RSSના શાંતિના પ્રયાસો વચ્ચે વિનય કટીયારનું નિવેદન
અયોધ્યામાં મંદિર બન્યા બાદ મથુરા અને કાશીને મુક્ત કરાવવાની કરી વાત
ચુકાદો પક્ષમાં ન આવે તો બલિદાન માટે તૈયાર : વિનય કટીયાર
રામ મંદિર બનાવીશું અને તે બાદ અમે કાશી અને મથુરાને પણ મુક્ત કરવા તરફ આગળ વધીશું : વિનય કટીયાર
જોકે ભાજપનું કેન્દ્રિય નેતૃત્વ અને આરએસએસ કોઈ પણ નેતાઓ અયોધ્યા મુદ્દે કોઈ નિવેદન ન કરે તે માટે પ્રયાસો કરી રહ્યું છે. ભાજપે તેના બધા જ નેતાને અયોધ્યા મુદ્દે ભડકાઉ નિવેદનથી બચવા કહ્યું છે છતાં ભાજપના નેતા વિનય કટીયાર કેન્દ્રિય નેતાઓને પણ ગાંઠતા નથી તેવું લાગે છે. વિનય કટીયારે એક ચેનલ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે 'અમે અત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે એક વાર તે આવી જાય પછી અમે રામ મંદિર બનાવીશું અને તે બાદ અમે કાશી અને મથુરાને પણ મુક્ત કરવા તરફ આગળ વધીશું.' ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાજપ નેતાઓને અયોધ્યા મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.
મંદિરના પક્ષમાં ચુકાદો ન આવે તો બલિદાન માટે તૈયાર
કટિયારનું નિવેદન એવા સમય પર આવ્યું છે જ્યારે RSS અને ભાજપનું કેન્દ્રિય નેતુત્વ સામાજિક સૌહાર્દ બનાવી રાખવા માટે કોઈ પણ નેતા શાંતિ ભંગ કરે તેવા નિવેદન ન કરે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે સવાલ એ થાય કે શું ભાજપ વિનય કટીયાર પર રોક લગાવવમાં નિષ્ફળ રહ્યું છે. આટલું જ નહિ વિનય કટીયાર તો ત્યાં સુધી બોલ્યા કે જો સર્વોચ્ચ અદાલત અમારા પક્ષમાં ચુકાદો નહી આપે તો અમે હજુ બલિદાન આપવા તૈયાર છીએ.
1992ના સમયના નેતા વિનય કટીયાર
આપને જણાવી દઈએ કે વિનય કટીયાર 1992માં બાબરી મસ્જિદ ધ્વંસમાં એક મોટા નેતા હતા. અયોધ્યામાં રામમંદિર માટે આંદોલન અને યાત્રાઓમાં ભાજપ નેતા લાલકૃષ્ણ આડવાણી, ઉમા ભારતી અને મુરલી મનોહર જોશીની સાથે વિનય કટિયાર પણ એક હિન્દુવાદી નેતા તરીકે આગેવાન હતા. વિશ્વ હિંદુ પરિષદ અને RSS પણ વચ્ચે-વચ્ચે મથુરા અને કાશીના મંદિરોના મુદ્દાને ઉઠાવતું રહ્યું છે તથા કાશી-મથુરા તેમના એજન્ડામાં પણ રહ્યું હતું પરંતુ અયોધ્યાના પરથી ધ્યાન ન હટે તે માટે મથુરા અને કાશીના મંદિરોના મુદ્દાને પ્રાધાન્ય આપવામાં આવ્યું નહી.
RSS શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવા માટે ખુબ પ્રયત્નો કરી રહ્યું છે
2019માં જયારે સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા મુદ્દે સુનાવણીઓ હાથ ધરવામાં આવતી હતી ત્યારથી જ RSS ઠંડુ પડી ગયું હતું. વર્તમાન સમયમાં RSS શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવા માટે ખુબ પ્રયત્નો કરી રહ્યું છે. ભાજપ અને RSS દ્વારા દેશના બધા જ નેતાઓને સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો છે કે હિન્દુત્વના મુદ્દે બધાએ શાંત અને ગંભીર રીતે વર્તવાનું રહેશે તથા બધા દ્વારા ચુકાદો સ્વીકારી લેવામાં આવે તેવું વાતાવરણ ઉભું કરવા પ્રયત્ન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સુન્ની વકફ બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અમે દાવો છોડવા ત્યારે જ તૈયાર થઈશું જયારે મથુરા કાશી અને અન્ય કોઈ જ મંદિરનો વિવાદ ભવિષ્યમાં ઉઠાવવામાં ન આવે.