પ્રગતિશીલ વિકાસ... આવું સાંભળ્યું ખુબ હશે અને હજૂ પણ સાંભળતા હશો. પરંતુ જાહેરાતોમાં અને નેતાઓના ભાષણમાં દેખાતા વિકાસની વાસ્તવિક્તા શું છે તે આજે અમે આપને બતાવીશું. કારણ કે, એક એવું ગામ છે. જ્યાં લોકોએ શહેર સુધી પહોંચવા 35 કિલોમિટર ન ફરવું પડે તે માટે જાતે કાચો પુલ બનાવ્યો છે. જુઓ કેવી છે એ ભાષણો વાળા વિકાસની વાસ્તવિક્તા...
નર્મદાના ડેડીયાપાડામાં ગ્રામજનોએ બનાવ્યો કાચો પુલ
ગ્રામજનોએ જાત મહેનતે કરજણ નદી પર બનાવ્યો કાચો પુલ
નદીમાં પથ્થરો ગોઠવીને બનાવ્યો કાચો પુલ
માત્ર જાહેરાતો અને ભાષણોવાળો વિકાસ... કારણ કે, વિકાસની વાસ્તવિક્તા દર્શાવતી તસવીર તો અહીં તમે તમારી આંખ સામે જોઈ શકો છો. આ તસવીર આપણા જ ગુજરાતની છે. જ્યાં વિકાસ ન પહોંચતા લોકોએ જાતે જ માટી અને પથ્થરથી પુલ બનાવવાનો વારો આવ્યો છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં કરજણ નદી પર ફુલસર ગામના લોકોએ જાતે જ પુલ બનાવવાની જરૂર પડી છે.
કારણ કે, વર્ષોથી નદી પર પુલ ન હોવાના કારણે લોકોને ડેડિયાપાડા જવા માટે 35થી 40 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું. જ્યારે નદી પર પુલ બને તો માત્ર 6 કિલોમીટરના અંતરે ડેડિયાપાડા પહોંચી શકાય છે. એટલું જ નહીં આ પુલ બનવા પર ફુલસર, કંજાળ, ટેકવાળા, ડેબાર, પાંચ ખાડીના સહિતના અનેક ગામોને ફાયદો થઈ શકે છે. પરંતુ વર્ષોથી અહીંના લોકોનો કોઈ અવાજ જ નથી સાંભળતું. તેવામાં હવે રજૂઆતો કરી-કરીને થાકી ચૂકેલા ગ્રામજનોએ જાતે જ પથ્થરો અને માટીની મદદથી કાચો પુલ બનાવ્યો છે.
જોકે પુલ માત્ર 1 વર્ષનું મહેમાન છે. કારણ કે, ચોમાસું આવતા ફરી માટી પાણીમાં ધોવાઈ જશે. તેવામાં ગ્રામજનોની માગ છે કે, સરકાર અહીં પાકો પુલ બનાવે જેથી અનેક ગામડાઓની સમસ્યાઓનું સમાધાન થઈ શકે. આ ગામડાઓ પણ વિકાસશિલ ગામડાની હરીફાઈ આવી શકે. આશા રાખીએ કે, સરકાર આ અહેવાલ બાદ અહીં પુલ બનાવવાની દીશામાં કોઈ પગલા ભરે જેથી હજારો લોકોની મુશ્કેલીઓ ખતમ થઈ શકે.