મહેસાણાના કડી તાલુકાના લ્હોર ગામે દલિત સમાજ દ્વારા લગ્ન પ્રસંગે વરઘોડો કાઢતા વિવાદ સર્જાયો છે. બે દિવસ અગાઉ લ્હોર ગામે વણકર વાસ વિસ્તારમાં મેહુલ પરમાર નામના યુવકના લગ્ન હતા. જેના વરઘોડાને લઇને અન્ય સમાજના ગ્રામજનોએ ભેગા થઈને તાલિબાની ફરમાન જાહેર કરીને લોકોને ગામના દલિત સમાજ સાથે વ્યવહાર કાપી દીધો હતો.
મળતી માહિતી મુજબ, બે દિવસ અગાઉ લ્હોર ગામે વણકર વાસ વિસ્તારમાં મેહુલ પરમાર નામના યુવકના લગ્ન હતા, લગ્ન મુદ્દે ગ્રામજનોએ ગામા વરઘોડો નહીં કાઢવા જણાવ્યું હતું. છતાં દલિત સમાજ દ્વારા મેહુલ પરમારનો વરઘોડો ગામમાં કાઢવામાં આવ્યો હતો. જેને લઈને અન્ય સમાજના ગ્રામજનોએ ભેગા થઈને તાલિબાની ફરમાન જાહેર કરીને લોકોને ગામના દલિત સમાજ સાથે વ્યવહાર કાપી દીધો હતો.
જો કોઈ દલિત સમાજ સાથે વ્યવહાર કરે તો રૂ.5000 દંડ જાહેર કર્યો હતો અને દલિત સમાજના રહીશોને ગામમાંથી દૂધ, કરિયાણું કે અન્ય કોઈ વસ્તુ પણ આપવા પણ પ્રતિબંધ લાદી દેવાયો હતો. જે વિવાદને પગલે સામાજિક સંસ્થાના આગેવાનો ગત રાતથી જ લ્હોર ગામે પહોંચી ગયા હતા અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. તો આજે બાવલું પોલીસ મથકે ફરિયાદની કાર્યવાહી હાથ ધરાઈ હતી.