રાજ્યમાં અંધારાને ઉલેચવા માટે, સરકારે ચોવીસ કલાક વીજળીની ખાતરી આપતી, જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકી હતી અને હવે એવા દાવા પણ કરાઈ રહ્યા છે કે દેશના એક એક ખૂણે વિજળી પહોંચી ગઈ છે.
પરંતુ જો તમે સાબરકાઠા જિલ્લાના પોશીના તાલુકાના કેટલાક ગામડાઓની મુલાકાત લેશો તો તમારે અહીં અંધારાનો સામનો કરવો પડશે. કેમ કે, જ્યાં એક તરફ સરકાર અંધારા ઉલેચવા કટિબદ્ધ છે તો બીજી બાજું સાબરકાંઠા તંત્રનું વીજતંત્ર લોકોને જાણે અંધારામાં જ રાખવા માગે છે. જોઈએ આ અહેવાલ.
ભરઉનાળે જ્યાં એક તરફ પોણાભાગનું ગુજરાત પાણીની સમસ્યા સામે ઝઝુમી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ એવા પોશીના તાલુકાના ગામડાઓમાં કંઈક જુદી જ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે. અહીં હાલ મુખ્ય સમસ્યા પાણીની નથી. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે અહીં વીજળીની નવતર સમસ્યા ઊભી થઈ છે.
વાવાઝોડાથી વીજથાંભલાઓ થયાં ભોય ભેગા
હા ગત એપ્રિલ માસની 16મી તારીખે આ વિસ્તારમાં આવેલા વિનાશક વાવાઝોડામાં અનેક વૃક્ષો સાથે વીજથાંભલાઓ પણ જમીનદોસ્ત થઈ ગયા હતા. તેજ ગતિએ ફૂંકાયેલા વાવાઝોડામાં ખંઢોરા, પિપલીયારા અને દંત્રાલ સહિત બીજા અનેક ગામોમાં વીજથાભલાઓ જમીનદોસ્ત થઈ ગયા ત્યારથી આજ સુધી લોકો વીજળી વગર હાલાકી ભોગવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વીજળીના અભાવે લોકો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. આ ગરમીમાં પંખા વગર રહી શકાતું નથી. દિવસ તો જેમ તેમ પસાર થઈ જાય છે પરંતુ રાત્રે અંધકારમાં જીવજંતુ કરડવાનો ભય સતત ઝળુંબતો રહે છે. છેલ્લાં પંદર દિવસથી લોકો મુસીબતમાં પસાર કરી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા વીજતંત્રને અનેક વાર રજૂઆત કરાઈ છે પરંતુ કોઈએ તેમની સમસ્યા કાને ધરી નથી.
પંદર દિવસથી અંધારપટ વચ્ચે પ્રજાને મુશ્કેલી
વાવાઝોડામાં વીજળીના થાંભલા પડી ગયા બાદ અહી વસતા નાગરિકો છેલ્લાં પંદર દિવસથી અંધારપટનો સામનો કરી રહ્યા છે. વીજળી ન હોવાના કારણે બોરમાંથી પાણી પણ મેળવી શકાતું નથી. પાણી માટે લોકોએ બેત્રણ કિલોમીટર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે.
તો રાત્રિના અંધકારમાં ઝેરી જીવજંતુનો ભય સતાવી રહ્યો છે. નવાઈની વાત એ છે કે, પહેલા આ સ્થાનિક લોકોને પુરવઠા વિભાગ તરફથી કેરોસિન પણ મળતું હતું પરંતુ હવે તેમને ઉજ્વલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપી દેવાયા છે તેથી હવે કેરોસિન પણ મળતું નથી.
વીજકર્મીઓ મારી રહ્યા છે નાણા
જેના કારણે રાત્રે દીવો શાનાથી પેટાવવો તે નવી સમસ્યા ઉદભવી છે. લોકો દ્વારા સ્થાનિકતંત્રને વીજળી કનેક્શન પૂર્વવત કરી દેવા વિનંતી કરવામાં આવી છે પરંતું ગામડાની વીજકર્મીઓ અભણ આદિવાસીઓ પાસેથી નાણાં માગી રહ્યા છે. તો જીઈબીના કેટલાક કર્મીઓ માથાભારે તત્વોની જેમ સ્થાનિક નાગરિકો સાથે તોછડો વ્યવહાર કરી રહ્યા છે.
વીજળી વગર એક દિવસ પણ રહેલુ હાલ તો શક્ય નથી ત્યારે આ 6 ગામના નાગરિકો છેલ્લા 15 દિવસથી વીજળીથી વંચિત છે. સરકાર જ્યારે અંધારા ઉલેચાવની વાતો કરી રહી છે ત્યારે સ્થાનિક તંત્ર સરકારની આ નેમ ક્યારે પૂરી કરશે તે જોવું રહ્યું. આશા રાખીએ મૂંગામંતર બેઠેલા આ ગ્રામજનોએ પોતાના હકના અજવાળા માટે રસ્તા પર ઉતરી આવવું ન પડે.