સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં નેપોટીઝમને લઇને લોકો ખુલીને સામે આવ્યા છે. એક બાદ એક લોકો નેપોટીઝમ પર ટિપ્પણી કરી રહ્યાં છે, ત્યારે છપાકમાં દિપીકા સાથે દેખાયેલ વિક્રાંત મેસીએ પણ નેપોટીઝમને લઇને ખુલાસો કર્યો છે. તેમને પણ નેપોટીઝમનો સામનો કરવો પડ્યો હતો.
ટેલિવિઝનની દુનિયામાંથી બોલિવૂડમાં પ્રવેશ કરનાર વિક્રાન્ત મૅસીએ જણાવ્યું હતું કે તેનું નામ એક પ્રસિદ્ધ ઍવૉર્ડ ફંક્શનમાં જ્યૂરી ઍવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવ્યું હતું, પરંતુ તેને ફંક્શનમાં ઇન્વાઇટ નહોતો કરવામાં આવ્યો.
તેનું કહેવું છે કે નેપોટિઝમ દરેક ક્ષેત્રમાં અસ્તિત્વ ધરાવે છે. તેણે હાલમાં જ ઇન્ડસ્ટ્રીની સિસ્ટમ ક્યારે નિષ્પક્ષ બનશે એ વિશે ટ્વિટ કર્યું હતું. વિક્રાન્ત મૅસીએ કહ્યું હતું કે, ‘મારી એ પ્રતિક્રિયા ઇન્ડસ્ટ્રીમાં ચાલતી સિસ્ટમ પર હતી. ફેમસ કલાકાર સાથે ફિલ્મ બનાવવામાં કોઈ વાંધો નથી, કારણ કે ફિલ્મ મેકિંગ એક બિઝનેસ છે. એ ટ્વિટને લઈ હું એમ કહેતો હતો કે અન્ય ઍક્ટર્સને પણ આમંત્રણ તો આપવું જોઈએ. આવું મારી સાથે પણ થયું છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, મને આજે પણ યાદ છે કે મને એક ફેમસ ઍવૉર્ડ ફંક્શનમાં બેસ્ટ ઍક્ટર જ્યૂરી ઍવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવ્યો તો હતો, પરંતુ ફંક્શન માટે મને ઇન્વાઇટ નહોતો કરવામાં આવ્યો. એથી શું હું હતાશ થયો? નહીં, એનાથી મને કોઈ ફરક નથી પડ્યો, કેમ કે સિસ્ટમ જ આવી છે. હું માત્ર મારા કામ પર જ ધ્યાન આપું છું.’