છેલ્લા થોડા દિવસોથી સિંગર વિક્રમ ઠાકોરનું એક ગીત કોપી કરવાને લઇને વિવાદ સર્જાયો હતો. વિક્રમ ઠાકોરનું કહેવું હતું કે, 'રામ મને પ્રેમ રે કરનારા બેવફા નીકળ્યા' ગીત જે તેમનું છે અને તે ગીત પર તેમના રાઇટ્સ છે. ત્યારે થોડા સમય પહેલા ગીત સર્જક મનુ રબારી દ્વારા સિંગર વિજય સુવાડા પાસે વિક્રમ ઠાકોરના ગીત ગવડાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ મનુ રબારીએ કોઇ રાઇટ્સ વગર આ ગીત યુ-ટ્યૂબ ચેનલ પર અપલોડ કર્યું હતું. જેને લઇને સમગ્ર વિવાદ સર્જાયો હતો.
વિક્રમ ઠાકોરના ગીતની કોપી થતા થયો હતો વિવાદ
મનુ રબારીએ પોતાની યુ-ટ્યૂબ પર અપલોડ કર્યું હતું ગીત
ગીત પર વિક્રમ ઠાકોરના રાઇટ્સ હોવાનો દાવો
વિક્રમ ઠાકોરનું ગીત થોડા સમય પહેલા ટિકટોક પર ખુબ જ ચાલ્યું હતું. તેમનું ગીત મેશ્વા ઇલેક્ટ્રોનીક્સમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ ગીતની લોકચાહના ખુબ જ વધી હતી. ત્યારે આ જ ગીતના શબ્દો સાથે જાણીતા ગીતકાર મનુ રબારીએ પોતાની યુ-ટ્યૂબ ચેનેલ પર અપલોડ કર્યું હતું.
2 કલાકમાં ગીત હટાવી લેવા વિક્રમ ઠાકોરે કહ્યું હતું
આ અંગે વિક્રમ ઠાકોર દ્વારા વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, 'મારૂ ગીત મનુ રબારી દ્વારા વિજય સુવાડા પાસે ગવડાવીને અપલોડ કરવામાં આવ્યું હતું. જ્યાર બાદ મનુ રબારીને આ અંગે જણાવવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે હું ગીત ચેનલ પરથી હટાવી લઇશ. પરંતુ ગીત હટાવ્યું નથી. જેને લઇને હું તેમને આ વીડિયોના માધ્યમથી કહી રહ્યો છું કે તે ગીત પર મારા રાઇટ્સ હોવા છતા તમે મારૂ ગીત કોપી કર્યું, તમને હટાવવા કહ્યું ન હટાવ્યું એટલે હું તમને 2 કલાકમાં યુ-ટ્યૂબ પરથી ગીત ડિલિટ કરી દેવા માટે અપીલ કરું છું.'
જોકે ફરી વખત વિક્રમ ઠાકોર દ્વારા અપીલ કરવામાં આવતા મનુ રબારીની ચેનલ પરથી આ ગીતને ઉતારી લેવામાં આવ્યું હતું. તો આ અગાઉ વિક્રમ ઠાકોરના કેટલાક સમર્થકોનું કહેવું હતું કે કે કોપી રાઇટનો ગુનો દાખલ કરો. જોકે હવે મનુ રબારીની ચેનલ પર આ ગીત ન હોવાથી વિવાદનો અંત આવ્યો છે.