ફિલ્મ અને ટીવી બંને જગ્યાએ પોતાના અભિનયનો જલવો દેખાડનાર દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેએ 77 વર્ષની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી દીધુ છે.
પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનુ 77 વર્ષની ઉંમરે નિધન
તેઓ છેલ્લાં ઘણા સમયથી બિમાર હતા
અમિતાભ બચ્ચન-વિક્રમ ગોખલે વચ્ચે હતી ગાઢ મિત્રતા
દિગ્ગજ અભિનેતાનુ નિધન
બોલિવુડે એક ઉમદા કલાકાર ગુમાવ્યાં છે. હમ દિલ દૈ ચૂકે સનમમાં ઐશ્વર્યાના પિતાની ભૂમિકા ભજવનાર જાણીતા અભિનેતા વિક્રમ ગોખલેનું 77 વર્ષની ઉંમરે પુણેમાં નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને પુણેની હોસ્પિટલમાં દાખલ થયા હતા.
અમિતાભ-વિક્રમની વચ્ચે હતી ગાઢ મિત્રતા
બોલીવુડની ઘણી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન અને વિક્રમ ગોખલેએ એક સાથે કામ કર્યુ છે. બંનેએ સાથે અગ્નિપથ, ખુદા ગવાહ, પરવાના જેવી બીજી ઘણી ફિલ્મોમાં સ્ક્રીન શેર કરી છે. એવામાં વિક્રમના નિધનથી અમિતાભ બચ્ચનને પણ ઘેરો આઘાત લાગ્યો છે. અહેવાલ મુજબ જ્યારે વિક્રમ મુંબઈમાં ઘર શોધવામાં ફરી રહ્યાં હતા ત્યારે અમિતાભ બચ્ચને ખરાબ સમયમાં તેમની તરફ મદદનો હાથ વધાર્યો હતો.
વિક્રમ ગોખલેએ એક અખબારને આપેલા એક જૂના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે જ્યારે તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે તેમણે વધુ મહેનત કરવી પડી હતી. તેમણે જણાવ્યું હતુ, આ દરમ્યાન મેં આર્થિક પડકારનો પણ સામનો કર્યો. મુંબઈમાં રહેવા માટે હું તે વખતે ઘર શોધી રહ્યો હતો. જ્યારે અમિતાભને મારા અંગે જાણ થઇ તો તેમણે જાતે તે વખતના મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી મનોહર જોશીને પત્ર લખ્યો. અમિતાભ બચ્ચનના કહ્યાં બાદ જ મને સરકાર તરફથી ઘર મળ્યુ હતુ. મેં આ પત્રને આજે પણ સંભાળીને રાખ્યો છે, પરંતુ મેં તેને ફ્રેમ કરાવીને રાખ્યો છે.