આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રી ચાલે છે અને અને દશમ એટલે કે નવરાત્રીનો છેલ્લો દિવસ તેને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. તેને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ દિવસ સુધી ભક્તો માતાજીની આરાધના અને ઉપાસના કરે છે અને દસમા દિવસે તેમની પૂર્ણાહૂતિના રૂપે દશેરાની ઉજવણી કરે છે. આ તહેવાર આખા ભારતભરમાં ઉજવાય છે.
કહેવાય છે આજના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને અસત્ય પર સત્યની જીત થઈ હતી. ત્યારથી આસો સુદ દશમના દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે દેશના વિવિધ શહેરોમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે.
જોકે અમદાવાદમાં પણ દશેરાની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. શહેરમાં ઠેર ઠેર જલેબી અને ફાફડાના સ્ટોલ લાગી ગયા છે. લોકો આજે હોંશે હોંશે જલેબી ફાફડાની લિજ્જત માણશે. તો સાથે જ જલેબી અને ફાફડાના ભાવમાં 15થી 20 ટકાનો વધારો પણ જોવા મળ્યો છે.
તો બીજી બાજુ સાંજે રાવણાન પૂતળાઓનું વિવિધ મેદાનોમાં દહન કરવામાં આવશે. ફટાકડાઓની આતશબાજી કરીને અસત્ય પર સત્યના વિજયની ઊજવણી કરશે.