સુરતના કામરેજમાં થોડા સમય પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. કામરેજમાં થોડા સમય પહેલા વેરાવળના હડમતિયા ગામના વિજયભાઈ દેસાણીની હત્યા થઈ હતી. મૃતક વિજય કામરેજમાં દેહવ્યવપાર કરાવતા શખ્સ ભરત કુકડીયાને પત્રકારની ઓળખ આપીને પૈસા ઉઘરાવતો હતો. આ અંગે તેમની વચ્ચે વિવાદ થતા આરોપી ભરતે વિજયનું ઢીમ ઢાળી દેવાનું નક્કી કર્યું હતું. મૃતકને સાયણ ગામે બોલાવીને ઠંડા પીણામાં ઘેનની દવા નાખીને બે યુવકોની મદદથી વિજયની છરા મારીને હત્યા કરી નાખી હતી બાદમાં લાશને કેરોસીન નાખીને સળગાવી છરા તથા મોબાઈલને કેનાલમાં નાખી તેઓ ભાગી છૂંટયા હતા. હાલ તો પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપી ભરત કુકડીયા સહિત બે યુવકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દેહ વેપાર કરતી યુવતી પાસે વિજય કમિશન લેતો હોવાનો આક્ષેપ
વિજય દેસાણીની હત્યા મામલે પોલીસ આરોપી સુધી તો પહોંચી હતું. પરંતુ કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેમ કે, નાના વરાછા નટવરનગરનો નિવાસી આરોપી ભરત કુકડીયા સાયણ ગામે ચોરી છુપી એક મકાનમાં દેહવ્યાપારનો ધંધો ચલાવતો હતો. ત્યાં એક યુવતી સાથે મૃતક વિજય દેસાણીની મુલાકાત થઈ હતી. વિજય પોતે પત્રકારની ઓળખ આપી યુવતી પાસે કમિશન લેતો હોવાનો આક્ષેપ છે. વિજયના ત્રાસથી યુવતી વતન જતી રહી હતી. જેથી કમિશન માટે મૃતક વિજય આરોપી ભરતને હેરાન કરતો હતો.
કામરેજના સેખપુર ગામે વિજયનો મળ્યો મૃતદેહ
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સેખપુર ગામે ગત 8મી માર્ચના રોજ એક વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને હત્યા બાદ સળગાવી દેવા પ્રયાસ કરાયો હતો. ઘટના બાબતે કામરેજ પોલીસ અને જિલ્લા LCBએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
મૃતક વેરાવળના હડમતીયા ગામનો હતો વિજયભાઈ દેસાણી
તપાસ દરમિયાન મૃતક વેરાવળના હડમતીયા ગામનો વિજયભાઈ દેસાણી હોવાનું બહાર આવ્યું હતું. બાતમી આધારે પોલીસ હત્યારાઓ સુધી પહોંચી હતી. અને આરોપીઓ સાયણ નજીક એક કારમાં હોવાની માહિતી મળતા પોલીસે એક આરોપી ભરત કુકડીયા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરની અટકાયત કરી લેવાય હતી.
હત્યાનું કારણ પત્રકારની ઓળખ આપી ભરતને કરાતી હેરાનગતિ
વિજય દેસાણી પત્રકારની ઓળખ આપી ભરત કુકડીયાને હેરાન કરતો હતો. જેથી ભરત કુકડીયાએ તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. ઘટનાના દિવસે બે કિશોર સાથે મળી સાયણ ખાતે વિજયને બોલાવી ઠંડા પીણામાં ઘેનની દવા ભેળવી છરા વડે હત્યા કરી હતી. બાદમાં સેખપુર ગામ નજીક મૃતદેહને નાશ કરવા કેરોસીન વડે સળગાવી દીધો હતી. અને છરા, મોબાઈલ નહેરમાં નાખી ભાગી છૂટ્યા હતા. જોકે અંતમાં પોલીસ હત્યારાઓ સુધી પહોંચી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.