કોરોના મહામારી સામે લડી રહેલાં સમગ્ર અમદાવાદીઓ માટે ખુબ મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદના મ્યુનિ. કોર્પોરેશનના કમિશનર પદેથી વિજય નહેરાની હકાલપટ્ટી કરાઈ છે. અને ગુજરાત મેરીટાઈન બોર્ડના CEO અને હાલમાં વધારાના ચાર્જમાં કમિશનર બનેલાં મુકેશ કુમારને અમદાવાદ શહેરના નવા કમિશનર બનાવાયા છે. મોડી સાંજે GAD દ્વારા આદેશ જારી કરાયા છે.
નહેરા કોરોન્ટાઈન થયા ત્યારથી બદલી થવાના એંધાણ હતા જ
કોરોનાની લડતમાં ઉણાં ઉતરેલાં વિજય નહેરા પર રાજ્ય સરકારે આકરા પગલાં લીધા છે. વિજય નહેરાને અમદાવાદ શહેરના કમિશનર પદેથી હટાવી રાજ્યના ગ્રામીણ વિકાસ કમિશનર બનાવાયા છે. વિજય નહેરાની બદલીના એંધાણ ત્યારે જ આવી ગયા હતા જ્યારે તેઓ 14 દિવસ કોરોન્ટાઈન હતા. જો કે વાત એવી છે કે તેમને તે જ રાતે તાત્કાલિક ચાર્જ છોડ્યો હતો, અને મુકેશ કુમારને ઈન્ચાર્જ કમિશનર બનાવાયા હતા.
નહેરા કોરેન્ટાઈન પછી કોરોના સામે લડાઈ લડવા તત્પર હતા
વિજય નહેરાનો AMCના સતાધીશો સામેનો તુઘલખી સ્વભાવ અને કોરોના સંક્રમણને અટકાવવામાં નિષ્ફળતા આ બંને પરિબળોએ તેમને કમિશનર પદેથી હટાવ્યા છે તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે વિજય નહેરા તો કોરેન્ટાઈન પુરો કરી કોરોના લડત માટે અધિરા હતા. પણ હવે અભરખાં પુરા નહીં થાય. તેઓએ ગાંધીનગર જઈ ગ્રામિણ વિકાસ કમિશનરનો ચાર્જ લેવો પડશે.
વિજય નહેરાની અમદાવાદ કમિશનરથી અન્ય જગ્યાએ બદલી થતાંની સાથે IAS અધિકારી વર્તુળમાં ચર્ચાએ જોર પકડ્યું કે, રાજકોટ લોબીના આ બીજા અધિકારીને એકાએક અમદાવાદ છોડવાનો વારો આવ્યો છે. આ પહેલાં રાજકોટના કલેક્ટરથી સીધા જ અમદાવાદ કલેક્ટર બનેલાં વિક્રાંત પાંડે પર ભ્રષ્ટાચારના આરોપો લાગતાં તેની અમદાવાદના કલેક્ટર પદેથી હટાવાયા હતા. જ્યારે આજે રાજકોટના કમિશનર રહી ચુકેલાં વિજય નહેરાને હવે અમદાવાદના કમિશનર પદેથી હટાવ્યા છે.
વિજય નહેરાની જગ્યાએ ચાર્જમાં આવેલા મુકેશ કુમારને AMCના કમિશ્નર તરીકે કાયમી કરવામાં આવ્યા. તેમના આ અગાઉની પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના ગુજરાત મેરીટાઈન બોર્ડના વાઈસચેરમેન અને CEO પોસ્ટ ઉપર લાંબા સમયથી વિદેશમાં ટ્રેઈનીંગ લઇ રહેલા IAS અધિકારી અવંતિકા સિંઘને મુકવામાં આવ્યા. નોંધનીય છે કે અવંતિકા સિંઘ પોતે પણ અમદાવાદ કલેકટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.