મુંબઇઃ લિકર કિંગ વિજય માલ્યા બેંકોના રૂપિયા 9 હજાર કરોડ લઈને ફરાર છે. જે હાલ બ્રિટનમાં એશોઆરામ ફરમાવી રહ્યો છે. ત્યારે હવે તેને ભારત લાવી શકાય તેવી શક્યતાઓ છે. એન્ટિ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ બનેલ સ્પેશિયલ કોર્ટે શનિવારે મુંબઇમાં દારૂના વેપારી વિજય માલ્યાને ભાગેડુ નાણાકીય ગુનેગાર જાહેર કરી દીધો છે. ઇડીએ આના માટે સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી હતી.
ભાગેડૂ આર્થિક અપરાધી એક્ટ હેઠળ વિજય માલ્યાનું નામ દેશના પહેલા ભાગેડૂ અપરાધી તરીકે દાખલ થયું છે. આ કાયદામાં તપાસ એજન્સીઓ એફએઓઇ હેઠળ દાખલ ગુનેગારની તમામ સંપત્તિઓ જપ્ત કરવાનો અધિકાર છે. હવે કર્ણાટક ઇંગ્લેન્ડ અને અન્ય જગ્યાઓ પરની વિજય માલ્યા સાથે જોડાયેલ સંપત્તિઓ ઇડી જપ્ત કરી શકે છે.
આ પહેલા ઇડીના વકીલ હિતેન વેનગાંવકરે જણાવ્યું કે એફઇઓએ નવો કાયદો છે અને ઘણો કડક પણ છે. આ કાયદામાં તપાસ એજન્સીઓ વિજય માલ્યાની તમામ પ્રોપર્ટી જપ્ત કરી શકે છે. આ પ્રોપર્ટી ભલે ગુના હેઠળ હોઇ કે ન હોઇ તેનાથી કોઇ ફર્ક નથી પડતો. આર્થિક ભાગેડૂ જાહેર થતા માલ્યાને બ્રિટેનથી લાવવામાં પણ મદદ મળશે. સ્પેશિયલ કોર્ટે માલ્યાની તમામ અરજીઓ પહેલા જ ફગાવી દીધી છે.